“ગૌ મૂત્ર પીવડાવ્યું, વાળ કાપ્યા…”: UBTના પૂર્વ સાંસદ વિનાયક રાઉત પર વહુએ કર્યો ગંભીર આરોપ

12 July, 2026 05:36 PM IST  |  Maharashtra | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં શિવસેના (UBT)ના પૂર્વ સાંસદ વિનાયક રાઉત અને તેમના પરિવારના કેટલાક સભ્યો સામે વહુ ગિરિજા રાઉતે કાળા જાદુ, માનસિક હેરાનગતિ અને અન્ય ગંભીર આક્ષેપો લગાવ્યા છે. પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી છે.

વિનાયક રાઉત (તસવીર સૌજન્ય: મિડ-ડે)

મહારાષ્ટ્રમાં શિવસેના (UBT)ના પૂર્વ સાંસદ વિનાયક રાઉત અને તેમના પરિવારના કેટલાક સભ્યો સામે ગંભીર આક્ષેપો બાદ કેસ નોંધવામાં આવ્યો છે. વિનાયક રાઉતની વહુ ગિરિજા રાઉતે આક્ષેપ લગાવ્યો છે કે સાસરીયાઓએ તેને કાળા જાદુની વિધિઓ કરવા માટે દબાણ કર્યું હતું અને આ દરમિયાન તેને ગૌમૂત્ર પીવા માટે પણ મજબૂર કરવામાં આવી હતી. ગિરિજાએ પોતાના સાસરીયા પક્ષ પર શારીરિક, માનસિક અને ભાવનાત્મક હેરાનગતિના પણ આક્ષેપ લગાવ્યા છે. આ ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

વિનાયક રાઉત અને પુત્રની ધરપકડ, કોર્ટમાં રજૂ કરાયા

મળતી માહિતી મુજબ, પોલીસે વિનાયક રાઉત અને તેમના પુત્ર ગિતેશ રાઉતની ધરપકડ કરી છે. આ ઉપરાંત કાળા જાદુની વિધિ કરાવવાના આરોપમાં એક વ્યક્તિ ફિરોઝ શેખ, જે પોતાને ધર્મગુરુ તરીકે રજૂ કરતો હતો, તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. ધરપકડ બાદ આરોપીઓને થાણેની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

વહુએ લગાવ્યા કાળા જાદુ અને દવાના ઉપયોગના આક્ષેપ

ગિરિજા રાઉતે જણાવ્યું કે વર્ષ 2017માં ગિતેશ રાઉત સાથે લગ્ન થયા બાદ તેને અનેક પ્રકારની હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. તેણે આક્ષેપ લગાવ્યો કે 2018 પછી પતિ-પત્ની વચ્ચે સંબંધો રહ્યા નહોતા અને સંતાન પ્રાપ્તિ માટે પરિવારના કેટલાક લોકો દ્વારા કાળા જાદુ જેવી વિધિઓ કરાવવામાં આવી હતી. ગિરિજાનો દાવો છે કે તેને અજાણી ગોળીઓ લેવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેના વાળ, જીવતા મરઘા, વાયર અને ખાસ પ્રકારના પીણાનો ઉપયોગ કરીને કેટલીક વિધિઓ કરવામાં આવી હોવાનો પણ તેણે આક્ષેપ લગાવ્યો છે.

મહિલા સુરક્ષા મુદ્દે રાજકીય પ્રતિક્રિયા

આ મામલો સામે આવ્યા બાદ મહારાષ્ટ્રના રાજકીય ચર્ચા શરૂ થઈ છે. મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગની પૂર્વ અધ્યક્ષ અને શિવસેના નેતા સુસિબેન શાહે આ ઘટનાને ગંભીર અને શરમજનક ગણાવી છે. તેમણે કહ્યું કે મહિલાની સાથે અપમાનજનક વર્તન કરવું અથવા અંધશ્રદ્ધા અને કાળા જાદુ જેવી પ્રવૃત્તિઓ માટે દબાણ કરવું કાયદાની વિરુદ્ધ છે. તેમણે અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવતા કહ્યું કે કોઈપણ મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ કોઈ વિધિ કરાવવા અથવા નુકસાન પહોંચાડવાનો પ્રયાસ સ્વીકાર્ય નથી.હાલ આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

એકનાથ શિંદે અમિત શાહનું ટેસ્ટ-ટ્યુબ બેબી છે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તેમની કોલ્હાપુરની મુલાકાત દરમ્યાન જાહેરમાં કહ્યું હતું કે હવે એક જ શિવસેના રહી છે અને એકનાથ શિંદે એના અધ્યક્ષ છે એ વાતને લઈને શિવસેના (UBT)માં ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા છે. શિવસેના (UBT)ના રાજ્યસભાના સભ્ય અને નેતા સંજય રાઉતે કહ્યું હતું કે ‘આ હિન્દુ હૃદયસમ્રાટ શિવસેના-પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનું અપમાન છે. અમિત શાહ અવારનવાર મહારાષ્ટ્રનું અને શિવસેના-પ્રમુખનું અપમાન કરતા હોય છે. મૂળમાં શિવસેના એક જ છે અને એ બાળાસાહેબ ઠાકરેની અને ઉદ્ધવ ઠાકરેની છે. જે રીતે અત્યંત દ્વેષબુદ્ધિથી, વેર રાખીને અમિત શાહે મિંધે (એકનાથ શિંદે)નો ઉલ્લેખ શિવસેના-પ્રમુખ એ રીતે કર્યો એ તેમના મનમાં રહેલો મહારાષ્ટ્ર, શિવસેના-પ્રમુખ અને મરાઠી માણૂસ પ્રત્યેનો દ્વેષ છે. એકનાથ શિંદે અમિત શાહનું ટેસ્ટટ્યુબ બેબી છે અને એને ૪ વર્ષ થયાં છે. અમિત શાહે તેમણે તૈયાર કર્યા છે. તમે જેટલા દ્વેષથી શિવસેના-પ્રમુખનું અપમાન કરશો એટલા જ દ્વેષથી મહારાષ્ટ્રની જનતા તમારી સામે ઊભી રહેશે.’

shiv sena uddhav thackeray thane crime thane political news mumbai news mumbai