માઇનોરિટીઝ બાબતોના મંત્રાલય માટે ૩૪૦૦ કરોડ રૂપિયાની ફાળવણી

02 February, 2026 10:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેન્દ્રીય બજેટમાં મોદી સરકારે લઘુમતી સમુદાયો અને ખાસ કરીને મુસ્લિમ સમુદાયના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે

નિર્મલા સીતારમણ

કેન્દ્રીય બજેટમાં મોદી સરકારે લઘુમતી સમુદાયો અને ખાસ કરીને મુસ્લિમ સમુદાયના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. લઘુમતી બાબતોના મંત્રાલય માટે આ વખતે કુલ ૩૪૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે પાછલા નાણાકીય વર્ષ ૨૦૨૫ કરતાં થોડા વધારે છે. સરકારે મંત્રાલયના બજેટમાં કોઈ કાપ મૂક્યો નથી, પરંતુ એને બદલે શિક્ષણ, માળખાગત સુવિધાઓ અને સામાજિક સશક્તીકરણ સાથે સંકળાયેલી યોજનાઓને આગળ વધારવાનો સંકેત આપ્યો છે.

આ બજેટનો નોંધપાત્ર હિસ્સો વડા પ્રધાનના જનવિકાસ કાર્યક્રમ અને મંત્રાલયના મુખ્ય કાર્યક્રમો માટે ફાળવવામાં આવ્યો છે જે શાળાઓ, છાત્રાલયો, આરોગ્યકેન્દ્રો અને સામુદાયિક ભવનો જેવાં કામોને મજબૂત બનાવશે. મહિલાઓ અને યુવાનોને લગતી યોજનાઓ પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે, જેનાથી લઘુમતી સમુદાયોની મહિલાઓ આત્મનિર્ભર બની શકે છે અને પ્રગતિ કરી શકે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોના ડેટાની સમીક્ષા સ્પષ્ટપણે દર્શાવે છે કે મંત્રાલયના બજેટમાં સમયાંતરે વધઘટ થતી રહી છે. જોકે મંત્રાલયને નાબૂદ કરવાને બદલે સરકારે એને ટેકો આપવાનું ચાલુ રાખ્યું છે અને જરૂરિયાત મુજબ બજેટમાં વધારો કર્યો છે.   

national news india union budget indian economy indian government finance news finance ministry