29 July, 2021 11:50 AM IST | New Delhi | Agency
પેગસસને વાપરીને કેન્દ્રએ લોકતંત્રના આત્મા પર પ્રહાર કર્યો : રાહુલ ગાંધી
પેગસસ ઉપકરણ વડે જાસૂસીને રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રદ્રોહનો વિષય ગણાવતા કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આવી જાસૂસી લોકતંત્રના આત્મા પર પ્રહાર સમાન છે. સંસદ ભવનની બહાર પત્રકારો જોડે વાતચીત દરમ્યાન લોકસભા અને રાજ્યસભામાં પેગસસ મુદ્દે ચર્ચા નહીં યોજાવા બાબતે નારાજગી વ્યક્ત કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન અને ગૃહપ્રધાને પેગસસ વાપરીને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરી છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ‘વડા પ્રધાને પેગસસના રૂપમાં દેશના યુવાનોના ફોનમાં નવું હથિયાર મોકલ્યું છે. એ શસ્ત્રનો ઉપયોગ મારી સામે, સર્વોચ્ચ અદાલતના અગ્રણીઓ સામે, અનેક નેતાઓ સામે અને ચળવળકર્તાઓ સામે વપરાશે. અમે પૂછવા માગીએ છીએ કે ભારત સરકારે પેગસસ ખરીદ્યું છે? પેગસસનો ઉપયોગ દેશના નાગરિકો સામે જ કરવાનો છે? સરકાર ‘હા કે ના’ જવાબ આપે.’
રાહુલ ગાંધીએ પેગસસ મામલે કેન્દ્ર સરકારને ઘેરવા માટે ૧૪ જેટલી વિપક્ષી પાર્ટી સાથે મળીને રણનીતિ ઘડી હતી તેમ જ ભારે હોબાળો કરીને લોકસભા તથા રાજ્યસભાની ચોમાસુ સત્રની કાર્યવાહીને ખોરવી નાખી હતી.