વી. ડી. સતીશન કેરલમના નવા મુખ્ય પ્રધાન

15 May, 2026 02:20 PM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

૧૦ દિવસથી ૩ નેતાઓ વચ્ચે ચાલતી જૂથબંધી પર આખરે પૂર્ણવિરામ

વી. ડી. સતીશન

કેરલમ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોના ૧૦ દિવસ બાદ આખરે મુખ્ય પ્રધાનપદનો કોયડો ઉકેલાઈ ગયો છે. કૉન્ગ્રેસના હાઈ કમાન્ડે ૬૧ વર્ષના વી. ડી. સતીશનને કેરલમના નવા મુખ્ય પ્રધાન તરીકે જાહેર કર્યા છે. કૉન્ગ્રેસ પાર્ટીના આ નિર્ણય સાથે જ રાજ્યમાં ચાલી રહેલી ખેંચતાણ અને જૂથબંધી પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

કૉન્ગ્રેસનાં નેતા દીપા દાસમુન્શીએ પ્રેસ-કૉન્ફરન્સ કરીને કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ ચર્ચા કર્યા પછી નિર્ણય લીધો છે કે કેરલમના નવા મુખ્ય પ્રધાન વી. ડી. સતીશન હશે.’

મુખ્ય પ્રધાન તરીકે નામ જાહેર થયા બાદ વી. ડી. સતીશને કહ્યું હતું કે ‘હું આ પદને કોઈ વ્યક્તિગત સિદ્ધિ નથી માનતો, પરંતુ આ મારા પર દૈવી કૃપા છે. હું કે. સી. વેણુગોપાલ અને રમેશ ચેન્નિથલા સહિતના તમામ વરિષ્ઠ નેતાઓને વિશ્વાસમાં લઈને સરકાર ચલાવીશ.’

નોંધનીય છે કે મુખ્ય પ્રધાનપદ માટે વી. ડી. સતીશન, કે. સી. વેણુગોપાલ અને રમેશ ચેન્નિથલા વચ્ચે જોરદાર સ્પર્ધા હતી. અંતરંગ સૂત્રોએ જણાવ્યા અનુસાર બહુમતી ધારાસભ્યો વેણુગોપાલના સમર્થનમાં હતા, પરંતુ વાયનાડમાં ગાંધી પરિવાર વિરુદ્ધ થયેલા પોસ્ટર-વૉર અને સ્થાનિક જનતાના આકરા મૂડને ધ્યાનમાં રાખીને હાઈ કમાન્ડે સતીશન પર પસંદગી ઉતારી છે. સતીશનને આક્રમક વિપક્ષી ચહેરા તરીકે જોવામાં આવે છે.

 રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ સ્થિતિ પર વિસ્તૃત ચર્ચા કરીને આ નિર્ણય લીધો છે. હું તમામ કાર્યકરોનો આભાર માનું છું જેમણે મને સમર્થન આપ્યું છે.’    - કે.સી. વેણુગોપાલ

સાથીપક્ષો સતીશનના સમર્થનમાં

ઉલ્લેખનીય છે કે કેરલમની ૧૪૦ બેઠકોમાંથી UDF ગઠબંધને ૧૦૨ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે, જેમાં કૉન્ગ્રેસના ફાળે ૬૩ બેઠકો આવી છે. ધારાસભ્યોની બેઠકમાં ભલે વેણુગોપાલનું પલ્લું ભારે હતું પરંતુ સહયોગી પક્ષો (IUML અને કેરલમ કૉન્ગ્રેસ-જોસેફ)ના સમર્થને સતીશનનો માર્ગ મોકળો કર્યો હતો.

national news india kerala indian government political news indian politics