મંગળવારે ભારત આવેલા વિયેટનામના પ્રેસિડન્ટ સૌપ્રથમ બોધગયાની મુલાકાતે ગયા

07 May, 2026 08:36 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

વિયેટનામના રાષ્ટ્રપતિ તો લામ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ગઈ કાલે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી

ગઈ કાલે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં વિયેટનામના પ્રેસિડન્ટ તો લામ સાથે નરેન્દ્ર મોદી.

વિયેટનામના રાષ્ટ્રપતિ તો લામ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ગઈ કાલે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી અને ભારત અને વિયેટનામ વચ્ચે ૧૩ કરાર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી બેઉ નેતાઓએ સંયુક્ત પત્રકાર-પરિષદને સંબોધિત કરી હતી. પ્રેસિડન્ટ તો લામ મંગળવારે ભારત પહોંચ્યા હતા અને સૌપ્રથમ તેમણે બોધગયાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે મહાબોધિ મંદિરમાં પ્રાર્થના કરી હતી. ત્યાર બાદ તેઓ દિલ્હી ગયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમણે બન્ને દેશો વચ્ચેના સંબંધો, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ સહિત અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મીટિંગો પહેલાં તેમણે ભારતના નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર અજિત ડોભાલ સાથે મુલાકાત કરી હતી.

દ્વિપક્ષીય કરાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘પ્રેસિડન્ટ તો લામે બોધગયાથી તેમની ભારત મુલાકાતની શરૂઆત કરી એ આપણા બન્ને દેશોની સહિયારી સભ્યતા અને આધ્યાત્મિક પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે. છેલ્લા એક દાયકામાં બેઉ દેશોના સંબંધો દરેક ક્ષેત્રમાં ઝડપથી આગળ વધ્યા છે. સભ્યતા સંબંધોની સાથે, અમારા વેપાર, ટેક્નૉલૉજી અને પ્રવાસન સંબંધો પણ મજબૂત થયા છે. ભારત અને વિયેટનામ વચ્ચે દ્વિપક્ષીય વેપાર છેલ્લા દાયકામાં બમણો થઈને ૧૬ અબજ ડૉલર થઈ ગયો છે. ગયા વર્ષે જ્યારે પવિત્ર બૌદ્ધ અવશેષો ભારતથી વિયેટનામ મોકલવામાં આવ્યા હતા ત્યારે દોઢ કરોડથી વધુ લોકોએ એની મુલાકાત લીધી હતી. અમે ચંપા સભ્યતાની હસ્તપ્રતોને ડિજિટલી સાચવીશું અને ભવિષ્યની પેઢીઓ માટે આ અમૂલ્ય વારસાનું રક્ષણ કરીશું.’

national news india hyderabad narendra modi indian government religious places vietnam new delhi