08 April, 2026 11:49 AM IST | Manipur | Gujarati Mid-day Correspondent
આતંકવાદીઓ દ્વારા એક ઘર પર ફેંકાયેલા બૉમ્બમાં બે બાળકોનાં મૃત્યુ પછી ગઈ કાલે મણિપુરના બિષ્નુપુરમાં વિરોધ-પ્રદર્શન ફાટી નીકળ્યું હતું. લોકોએ એક ટ્રક સળગાવી દીધી હતી અને રોડ પર ટાયર એકઠાં કરીને બાળ્યાં હતાં.
મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં સોમવારે મોડી રાત્રે આતંકવાદીઓએ એક ઘર પર બૉમ્બ ફેંક્યો હતો, જેમાં પાંચ વર્ષનો એક છોકરો અને છ મહિનાની એક છોકરીનું મૃત્યુ થયા બાદ જોરદાર હિંસા ફાટી નીકળી હતી. બૉમ્બવિસ્ફોટ થયો ત્યારે બાળકો તેમની મમ્મી સાથે બેડરૂમમાં સૂતાં હતાં. માતા ઘાયલ થઈ છે.
ગઈ કાલે સવારે સ્થાનિક લોકોએ આ ઘટનાનો વિરોધ કર્યો હતો. તેમણે આ વિસ્તારમાં પેટ્રોલ-પમ્પ પાસે બે ઑઇલ ટૅન્કર અને એક ટ્રકને આગ ચાંપી દીધી હતી, મોઇરાંગ પોલીસ-સ્ટેશનની સામે ટાયરો સળગાવી દીધાં હતાં અને પોલીસચોકીમાં તોડફોડ કરી હતી. ત્યાર બાદ ટોળાએ ઘટનાસ્થળથી ૧૦૦ મીટર દૂર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ
(CRPF)ના કૅમ્પ પર હુમલો કર્યો હતો. જવાબી ગોળીબારમાં બે લોકોનાં મૃત્યુ થયાં હતાં અને પાંચ અન્ય ઘાયલ થયા હતા. મણિપુર સરકારે હાલની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇમ્ફાલ, થૌબલ, કાકચિંગ અને બિષ્ણુપુર જિલ્લામાં ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સેવાઓ ૩ દિવસ માટે સ્થગિત કરી દીધી છે.