27 February, 2026 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકારે ગુરુવારે ‘સિમ બાઇન્ડિંગ’ના નિયમો લાગુ કરવાની ડેડલાઇન ૨૮ ફેબ્રુઆરીથી આગળ વધારવાની ના પાડી દીધી હતી. નવા નિયમો અંતર્ગત મોબાઇલમાં હવે સિમ કાર્ડ નહીં હોય તો વૉટ્સઍપ, ટેલિગ્રામ, સિગ્નલ, સ્નૅપચૅટ, શૅરચૅટ, જિયોચૅટ અરટ્ટાઈ જેવી કોઈ પણ મેસેજિંગ ઍપ કામ નહીં કરે. કમ્પ્યુટર પર લૉગ-ઇન કરેલું વૉટ્સઍપ પણ દર છ કલાકે આપમેળે લૉગઆઉટ થઈ જશે. સરકારનો દાવો છે કે એનાથી સાઇબર ફ્રૉડ ઘટાડવામાં મદદ મળશે.
પહેલાં સિમ કાર્ડ કાઢી નાખ્યા પછી પણ ફોનમાં ઍપ ચાલુ રહેતી હતી, પણ હવે રજિસ્ટર્ડ અને ઍક્ટિવ સિમ કાર્ડ હોવું અનિવાર્ય છે. પહેલાં કમ્પ્યુટરમાં એક વાર લૉગ ઇન કર્યા પછી અઠવાડિયાંઓ સુધી ઍક્ટિવ રહેતું હતું. હવે સુરક્ષા માટે દર છ કલાકે આપમેળે લૉગઆઉટ થઈ જશે. પહેલાં વનટાઇમ પાસવર્ડથી ક્યાંય પણ લૉગ-ઇન કરવાનું સંભવ હતું. હવે સિમ બાઇન્ડિંગ વિના ઍપ કામ કરવાનું બંધ કરી દેશે.
જો તમે કોઈ ઍપને સિમ બાઇન્ડિંગથી જોડશો તો એ ઍપ ત્યારે જ ખૂલશે જ્યારે તમારું રજિસ્ટર્ડ સિમ કાર્ડ એ જ ફોનમાં મોજૂદ હોય. હવે યુઝર્સે એ ધ્યાન રાખવું પડશે કે તેમનું વૉટ્સઍપ જે નંબર પર છે એ જ નંબરવાળું સિમ કાર્ડ પણ ફોનમાં લાગ્યું હોય.