05 December, 2022 11:07 AM IST | Bhatinda | Gujarati Mid-day Correspondent
યાદવિન્દર સિંહ ખોખર
પંજાબમાં ભટિંડાના ખેડૂતે તેના બાળપણની મહેચ્છાને પૂરી કરતાં કેટલાંક વર્ષો પહેલાં ઍરોમૉડલિંગમાં ઝંપલાવ્યું હતું તથા હવે તેણે કેટલીક યુનિવર્સિટી સાથે સ્ટુડન્ટ્સને ઍરોનોટિક્સની બારીકીઓ શીખવવા માટે કરાર કર્યા છે.
યાદવિન્દર સિંહ ખોખર નામનો આ ૪૯ વર્ષનો ખેડૂત હાઈ ડેન્સિટી થર્મોકોલમાંથી વિવિધ ઍરક્રાફ્ટનાં મૉડલ્સ તૈયાર કરે છે. તેની સર્જનાત્મકતા અને નવીનતા માટે તેને વિવિધ અવૉર્ડ્સ પણ મળ્યા છે. યાદવિન્દર સિંહ ખોખર ભટિંડા જિલ્લાના પેટા તાલુકા ભગતાભાઈ કાના સિરીવાલા ગામના રહેવાસી છે. તેમનું કહેવું છે કે તેઓ બાળપણથી પક્ષીની જેમ ઊડવાની ઇચ્છા સેવતા હતા. અભ્યાસ પૂર્ણ કર્યા પછી ખેતીવાડીમાં જોડાવા છતાં તેમની આ ઇચ્છા જીવંત રહી હતી. પોતાની આ ઇચ્છાને આકાર આપવા તેઓ જ્યારે પારિવારિક લગ્નમાં હાજરી આપવા બ્રિટન ગયા ત્યારે કેટલાંક ઍરો મૉડલ લઈ આવ્યા હતા. ત્યાર બાદ ઇન્ટરનેટ પરથી માહિતી એકઠી કર્યા બાદ દિલ્હીમાં એક સંસ્થામાંથી ઍરોમૉડલિંગનો કોર્સ કર્યો હતો.
ધીમે-ધીમે તેમણે પોતાના ગામના ખેતરમાં રનવે વર્કશૉપ અને ઍરોમૉડલિંગ લૅબોરેટરી ઊભી કરી પોતે ઍરોમૉડલ્સ તૈયાર કર્યાં.