25 February, 2026 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
બિહારના બક્સર જિલ્લામાં લગ્ન સમારોહ દરમિયાન એક દુલ્હનને તેના એક્સ પ્રેમીએ કથિત રીતે પેટમાં ગોળી મારી દીધી હોવાની ઘટના બની હતી. પેટમાં ગોળી વાગતા દુલ્હન ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ ચોંકાવનારી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘાયલ દુલ્હનને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તેની ગંભીર સ્થિતિને જોતાં, ડૉક્ટરોએ પ્રાથમિક સારવાર આપી હતી પરંતુ બાદમાં તેણીનું મોત નીપજ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ ગોળીબાર થયો હતો. આરોપીઓને પકડવા માટે શોધ શરૂ કરવામાં આવી છે.
દુલ્હનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડૉક્ટરોએ પ્રાથમિક સારવાર આપી હતી, પરંતુ તેની હાલત વધુ ખરાબ થઈ હતી અને બાદમાં તેને ઉચ્ચ તબીબી કેન્દ્રમાં રિફર કરવામાં આવી હતી. સારવાર છતાં, દિવસના અંત સુધીમાં દુલ્હનનું મૃત્યુ થયું હોવાના પણ આહેવાલ છે.
પોલીસે આપેલી માહિતી મુજબ, ગોળીબાર મંગળવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ થયો હતો. દુલ્હા અને દુલ્હન શણગારેલા લગ્નના મંચ પર વરમાળાની વિધિ કરી રહ્યા હતા. દુલ્હન લાલ પરંપરાગત પોશાક પહેરીને વરરાજાની બાજુમાં ઉભી હતી. ભીડમાંથી એક યુવક સ્ટેજ પર આવ્યો અને નજીકથી દુલ્હન પર ગોળીબાર કર્યો. દુલ્હન તરત જ પડી ગઈ અને ખૂબ લોહી વહેવા લાગ્યું. મહેમાનો ગભરાઈ ગયા, અને લોકો સલામત સ્થળે દોડી ગયા. લગ્નની વિધિઓ વિક્ષેપિત થઈ ગઈ હતી અને પરિવારના સભ્યો રડતા જોવા મળ્યા હતા.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના જૂની પ્રેમ કહાની સાથે જોડાયેલી હોઈ શકે છે. આરોપીની ઓળખ દિનબંધુ તરીકે થઈ છે, જે હવે ગાયબ છે. એસએચઓ ચંદન કુમારે જણાવ્યું હતું કે આરોપી અગાઉ દારૂ સંબંધિત કેસમાં જેલમાં બંધ હતો. પોલીસે આરોપીના માતા-પિતાને પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે અને તેની ધરપકડ કરવા માટે દરોડા ચાલુ રાખ્યા છે.
પોલીસ વાયરલ વીડિયોની તપાસ કરી રહી છે. વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, અને પોલીસે જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ થયા પછી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જમાનો ભલે મૉડર્ન થઈ રહ્યો હોય, છત્તીસગઢમાં સેન સમાજે લગ્નને લઈને કેટલાક ઑર્થોડૉક્સ કહેવાય એવા નિર્ણય લીધા છે જે વિચારતા કરી મૂકે એવા છે. સમાજમાં સગપણ તૂટવાના કિસ્સા વધી ગયા હોવાથી સમાજના આગેવાનોએ એનાં કારણ શોધીને એ દૂર કરવાનું નક્કી કર્યું છે. એમાં સૌથી મોટા બે નિયમ લેવામાં આવ્યા છે. એક તો સગાઈ પછી છોકરા-છોકરી બેમાંથી કોઈએ ફોન પર વાત ન કરવી. હા, બરાબર વાંચ્યું. સગાઈ થયા પછી મંગેતરોએ કોઈકની હાજરીમાં જ વાતચીત કરવી અને એ પણ વડીલોની હાજરીમાં. સમાજનું માનવું છે કે છોકરા-છોકરીઓ એકાંતમાં વાત કરે છે ત્યારે કંઈક એવી વાતો કરી બેસે છે જેને કારણે સંબંધોમાં તનાવ આવી જાય છે અને સગપણ તૂટવા પર આવી જાય છે. બીજો આવો જ નિર્ણય છે લગ્નના પ્રસંગમાં જૂતાચુરાઈની વિધિ પર પ્રતિબંધ. હસીમજાક માટેની આ પરંપરામાં સાળીઓ અને જમાઈઓ વચ્ચેની મજાક ક્યારેક એટલી હદે વણસી જાય છે કે લગ્ન પૂરાં થતાં પહેલાં જ સંબંધો છૂટા થઈ જાય છે. જૂતાચુરાઈમાં બન્ને પક્ષો વચ્ચે ઝઘડા થઈ જવાથી જાન પાછી વાળવા સુધીની નોબત આવી હોવાથી સેન સમાજે લગ્નમાં આ વિધિ પર જ પ્રતિબંધ મૂકી દીધો છે. છત્તીસગઢમાં સેન સમાજની લગભગ સવાબે લાખ લોકોની વસ્તી છે. આ તમામ પર આવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.