14 October, 2021 02:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બે માથાં અને ત્રણ આંખ સાથે જન્મેલું આ વાછરડું મા દુર્ગાનો અવતાર માની પુજાય છે
ભારતમાં શ્રદ્ધા કરતાં અંધશ્રદ્ધા વધુ ફેલાયેલી છે. ઓડિશાના નબરંગપુર જિલ્લામાં નવરાત્રિના તહેવારમાં બે માથાં અને ત્રણ આંખવાળા વાછરડાનો જન્મ થયો છે. આ વાછરડાને ગામમાં મા દુર્ગાનો અવતાર માનીને એની પૂજા કરાય છે.
નબરંગપુર જિલ્લામાં કુમુલી પંચાયતન બિજાપુર ગામના ધનીરામ નામના ખેડૂતના ઘરે આ વાછરડું જન્મ્યું છે. બે વર્ષ પહેલાં ધનીરામ ગાય લઈ આવ્યો હતો. હાલમાં જ એ ગર્ભવતી થઈ હતી તથા નવરાત્રિમાં એણે વાછરડાને જન્મ આપ્યો હતો. વાછરડાને જન્મ આપતાં ગાયને ઘણી તકલીફ પડી હતી, જેનું કારણ તપાસતાં એ બે માથાં અને ત્રણ આંખ સાથે જન્મેલું હોવાનું જાણવા મળ્યું હતું.
બે માથાંવાળા વાછરડાનો દૂધ પીતો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. ગાયના માલિકો બૉટલની મદદથી વાછરડાને દૂધ પાવા માટે બહારથી દૂધ લાવે છે.
બે માથાં સાથે જન્મેલું આ પ્રથમ વાછરડું નથી. આ પહેલાં સપ્ટેમ્બર મહિનામાં રાજસ્થાનના ઢોલપુર જિલ્લામાં પુરા સિક્રોડા ગામે બે ગળાં, બે મોઢાં અને ચાર આંખ તેમ જ ચાર કાનવાળું વાછરડું જન્મ્યું હતું.