16 November, 2025 02:49 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent
માછલીઓ રંગીન અને સ્વાદિષ્ટ બને એ માટે એમને ખવડાવાય છે લીલાં મરચાં
ચીનના હુનાન પ્રાંતમાં માછલીઓ ઉછેરવાનું એક કેન્દ્ર છે જેમાં માછલીઓનો ખોરાક શું છે એ સાંભળીને અચરજ થાય એવું છે. અહીંના ફિશ ઉછેરવાના તળાવમાં માછલીઓને લીલાં અને તીખાં મરચાં ખવડાવવામાં આવે છે. એનું કારણ શું? મરચાં ખાઈને માછલીઓનો વિકાસ ઝડપી બને છે અને એમનો રંગ અને સ્વાદ પણ વધી જાય છે એવી માન્યતા છે. ચીનમાં ૧૦ એકરમાં ફેલાયેલા કુદરતી તળાવમાં માછલીઓને ઉછેરવામાં આવે છે. આ ઉછેરકેન્દ્ર એકદમ અલગ રીતે જ માછલીઓને સ્વાદિષ્ટ બનાવે છે. જિયાંગ શેન્ગ નામના માછીમાર ભાઈ ૪૦ વર્ષના અનુભવી છે. તેમના ૧૦ એકરના તળાવમાં લગભગ ૩૦૦૦થી વધુ માછલીઓ છે જે રોજ ખૂબ મોટી માત્રામાં લીલાં અને ફ્રેશ મરચાં ખાય છે. જિયાંગ શેન્ગનું કહેવું છે કે મેં અનુભવે જોયું છે કે મરચાં ખાવાથી માછલીનો શેપ સારો થાય છે. એમનું માંસ ખૂબ સ્વાદિષ્ટ અને સૉફ્ટ બને છે. મરચાંને કારણે માછલીની ત્વચા પણ ચમકદાર અને સોનેરી દેખાય છે. પહેલાં માછલીઓ મરચાં નહોતી ખાતી, પણ હવે માછલીઓ બીજા ફૂડ કરતાં મરચાં વધુ ખાય છે.