20 July, 2026 03:36 PM IST | Agra | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આગરા પોલીસે ૨૭ વર્ષથી ફરાર ભૂરા નામના હત્યા અને લૂંટના એક આરોપીને ભોપાલથી પકડ્યો હતો. મનોજ બાજપેયીની ફિલ્મ ‘સાત ઉચક્કે’ જેવી જ ફિલ્મી વાર્તા ભૂરાએ પોલીસથી બચવા માટે ઘડી કાઢી હતી. ૧૯૯૯માં આગરામાં બે પોલીસવાળાની હત્યા કરી તેમને લૂંટીને તે ભાગી ગયો હતો. નવાઈની વાત એ હતી કે તેણે આ કામ પોલીસચોકીમાં કર્યું હતું. તેણે પોલીસ ઓળખી ન કાઢે એ માટે પોતાનું નામ અને લુક ચેન્જ કરીને શહેર બદલી નાખ્યું. તેના પરિવાર અને સંબંધીઓ સાથે સંપર્ક તોડી નાખ્યો અને પોતે મરી ગયો છે એવા જૂઠા ખબર પરિવારજનોને પહોંચાડી દીધા. એ પછી ભૂરાએ જમાલ નામ ધારણ કરી લીધું અને ત્યાં લગ્ન કરીને સંતાનો સાથે સામાન્ય માણસ જેવી જિંદગી જીવવા લાગ્યો હતો. જોકે તેના પરિવારજનનો તેણે સંપર્ક કરતાં આગરાની પોલીસ સાબદી થઈ ગઈ અને તેમણે એક સ્પેશ્યલ ટીમ ભોપાલ મોકલીને જમીલ ઉર્ફે ભૂરાને પકડી લીધો હતો.