15 March, 2025 09:24 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
મહાભારતકાલીન શિવમંદિર
ઉત્તર પ્રદેશના સહારનપુરથી ૫૦ કિલોમીટર દૂર આવેલા બરસી નામના ગામમાં છેલ્લાં ૫૦૦૦ વર્ષથી હોલિકાદહન કરવામાં આવતું નથી. આ ગામમાં સદીઓથી લોકો તેમના પૂર્વજોની આ પરંપરાને આજે પણ અનુસરે છે. ગામના લોકોમાં એવી માન્યતા રહેલી છે કે ગામની વચ્ચોવચ આવેલા મહાભારતકાલીન શિવમંદિરમાં ખુદ મહાદેવ બિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે તેઓ ગામની સીમામાં વિચરણ કરે છે અને તેથી લોકો હોલિકાદહન કરતા નથી. તેમનું માનવું છે કે હોલિકાદહનથી જમીન ગરમ થઈ જશે અને એના પરથી શિવજી પસાર થાય તો તેમના પગ દાઝી જશે. આ માન્યતા પેઢી દર પેઢી ચાલી આવે છે એટલે આ ગામમાં હોલિકાદહન થતું નથી.
એવું માનવામાં આવે છે કે આ શિવમંદિરનું નિર્માણ દુર્યોધને રાતોરાત કરાવ્યું હતું. પૌરાણિક માન્યતા મુજબ સવારે ભીમે આ મંદિર જોયું અને ગદાના પ્રહારથી એના મુખ્ય દ્વારને પશ્ચિમ તરફ ફેરવી દીધું. એવો દાવો કરવામાં આવે છે કે દેશમાં આ એકમાત્ર શિવમંદિર પશ્ચિમમુખી છે. બીજી પણ એક પૌરાણિક કથા છે કે મહાભારતના યુદ્ધ વખતે ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્ર જતી વખતે આ ગામમાંથી પસાર થયા હતા અને એની ખૂબસૂરતીને જોઈને એની સરખામણી બ્રજભૂમિ સાથે કરી હતી.
બરસી ગામના લોકોએ સ્વેચ્છાએ હોલિકાદહન કરવાનું છોડી દીધું છે, પણ આ ગામના લોકો આસપાસનાં ગામોમાં જઈ હોલિકાદહનમાં ભાગ લઈને હોળી અને ધુળેટીનો તહેવાર મનાવે છે.