23 July, 2026 07:50 PM IST | Auraiya | Gujarati Mid-day Correspondent
બીમાર પત્નીના મૃત્યુનો એટલોબધો આઘાત લાગી ગયો કે પતિએ પણ દમ તોડ્યો
આજકાલ પતિ-પત્ની એકબીજાને મોતને ઘાટ ઉતારતા હોય એવા કિસ્સાઓ બહુ સાંભળવા મળે છે, જોકે ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લાના મધાપુર ગામમાં પતિ-પત્નીના પ્રેમની મિસાલ કહેવાય એવી એક ઘટના ઘટી છે. પત્ની લાંબા સમયથી બીમાર હતી. એની સેવામાં પતિએ દિવસરાત એક કરી દીધાં હતાં. એમ છતાં પત્ની બચી ન શકી. પત્નીના અગ્નિસંસ્કાર કરવાના આવ્યા ત્યારે સુહાગણ સ્ત્રીના પાર્થિવ દેહને સોળ શણગાર સજાવીને માથામાં સિંદૂર પૂરવામાં આવ્યું હતું. જોકે સેંથામાં સિંદૂર પૂર્યું એ જ વખતે પતિને છાતીમાં જોરથી દુખાવો ઊપડ્યો. કોઈ કંઈ સમજી શકે અને ડૉક્ટર પાસે લઈ જવાય એ પહેલાં ત્યાં જ તેમણે પણ દમ તોડી દીધો. પરિવારજનોએ એ પછી બન્નેની એકસાથે અંતિમયાત્રા કાઢી હતી અને એક જ ચિતા પર અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા.