01 June, 2026 02:32 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
ગુપ્તાંગ કાપી નાખ્યા પછી જે પીડા સહન કરવી પડી રહી હતી
મધ્ય પ્રદેશના છતરપુરમાં ૪૨ વર્ષના રામ નારાયણ યાદવ નામના એક ભાઈએ પોતાનું જ ગુપ્તાંગ કાપીને કૂવામાં ફેંકી દીધું હતું. એ કામ માટે તેણે કુહાડીનો ઉપયોગ કર્યો હતો. એકઝાટકે વાર કરીને પ્રાઇવેટ પાર્ટ કાપી નાખવાથી તેના શરીરમાંથી લોહીના ફુવારા નીકળવા લાગ્યા હતા. આ હાલત જોઈને પરિવારજનોએ તરત જ તેમને હૉસ્પિટલમાં ભરતી કર્યા હતા. ડૉક્ટરોને લાગ્યું કે કદાચ બીજા કોઈકે તેની સાથે આ કામ કર્યું હશે, પણ એવું જરાય નહોતું. રામ નારાયણને પોતે ગુપ્તાંગ કાપી નાખ્યા પછી જે પીડા સહન કરવી પડી રહી હતી એ માટે પણ કોઈ દુખ નહોતું. આનું કારણ એ હતું કે ઘણા વખતથી તેના મનમાં સાધુ બનવાની ધૂન ચડી હતી. તે સંસારીમાંથી સાધુ બનવા માગતો હતો અને ફરીથી ક્યારેય જાતીય ઇચ્છાઓને કારણે સંસાર ભણી ફરવાનું પાપ ન કરી બેસાય એ માટે ફૂલપ્રૂફ પ્લાનિંગ કરેલું. રામ નારાયણનું કહેવું છે કે સંત બનીને તે સંન્યાસ લેવા માગે છે. તેની પત્ની લાંબા સમયથી લકવાગ્રસ્ત છે અને પરિવારમાં બે દીકરા અને દીકરીઓ છે. મોટી દીકરીનાં આ મહિને જ લગ્ન થવાનાં છે.