25 February, 2026 06:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફળો પર ઝેર લગાવવામાં આવ્યું (તસવીર: મિડ-ડે)
મુંબઈના મલાડ વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેના પગલે લોકોમાં રોષ ફેલાયો છે. વીડિયોમાં, એક ફળ વિક્રેતા તેની ગાડી પરના ફળો પર ‘રૅટોલ’ નામનું ઝેર લગાવતો જોવા મળે છે. ગણેશ નામના યુઝરે આ વીડિયો X પર શૅર કર્યો હતો. વીડિયોમાં, વિક્રેતા આ ઝેરની ટ્યુબ પકડીને જોવા મળે છે. તેમ જ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ગાડી પર રખાવામાં આવેલી ટોપલીમાં ફળો પર ક્રીમ જેવો પદાર્થ પણ દેખાય છે. વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિ વિક્રેતાને પ્રશ્ન કરે છે. તે કહે છે, "બાળકો આ ફળો ખાય છે. તમે આ કેમ લગાવી રહ્યા છો? હું ફાળોને ખરીદવા જ જતો હતો." વિક્રેતા જવાબ આપે છે કે તેણે ફળોને ઉંદરોથી બચાવવા માટે જ ઝેર લગાવ્યું હતું.
વીડિયો વાયરલ થયા પછી, ઘણા લોકોએ કમેન્ટમાં પ્રશ્નો ઉઠાવ્યા. એક યુઝરે પૂછ્યું, "શું ફળો પર આ ક્રીમ લગાવવાથી તે ઝડપથી પાકે છે?" ગણેશે જવાબ આપ્યો, "તે ચમક ઉમેરે છે અને જંતુઓ દૂર રાખે છે." બીજા યુઝરે દાવો કર્યો, "મેં કોઈને રીલમાં ફળો પર ગટરનું પાણી રેડતા જોયો." આ કેમેન્ટે ખાદ્ય સ્વચ્છતા અંગે લોકોની ચિંતાને વધારી છે.
રૅટોલ ઉત્પાદનોમાં સામાન્ય રીતે યલો ફૉસ્ફરસ નામનો ઝેરી પદાર્થ હોય છે. જો તેનું સેવન કરવામાં આવે તો, તે શરૂઆતમાં ઉબકા, ઉલટી અને ઝાડાનું કારણ બની શકે છે. આ પછી નબળાઈ, પેટમાં દુખાવો, ઊંઘ, ભૂખ ન લાગવી અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, તે લીવર અને કિડનીને નુકસાન પહોંચાડી શકે છે અને જીવલેણ પણ બની શકે છે.
આ ઘટનાએ ફરી એકવાર ખુલ્લા બજારોમાં ખાદ્ય સલામતી અંગે ચિંતાઓ ઉભી કરી છે. શેરી વિક્રેતાઓ પહેલાથી જ ઉંદરોની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ ખોરાકની નજીક ઝેરી રસાયણોનો ઉપયોગ લોકો, ખાસ કરીને બાળકો અને આરોગ્યને જોખમ ધરાવતા લોકો માટે ખતરનાક બની શકે છે. આ ઘટના બાદ, લોકોએ ખાદ્ય સલામતીના ધોરણોનું કડક પાલન અને નિયમિત નિરીક્ષણ કરવાની માગ કરી છે. મલાડ પોલીસે મલાડ પશ્ચિમમાં ગ્રાહકોને ફળો વેચતા પહેલા તેના પર ઉંદર મારવાનું ઝેર લગાવવાના આરોપમાં બે ફળ વેચનારાઓની ધરપકડ કરી છે. આરોપી મનોજ સંગમલાલ કેસરવાની (42) અને રાહુલ સદનલાલ કેસરવાની (25) બન્ને મલાડ પશ્ચિમના રાજનપાડાના રહેવાસી છે, તેમની 25 ફેબ્રુઆરી, 2026 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને આજે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ 24મી બોરીવલીમાં રજૂ કરવામાં આવ્યા હતા.