06 April, 2026 01:08 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
આ ઉત્સવ માટે મીઠાઈઓ પણ વહેંચવામાં આવી હતી.
લગ્ન કરીને દીકરીને સાસરે વળાવવા માટે તો પિતા લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પણ જો દીકરી સાસરે સુખી ન હોય તો તેને પાછી પિયર લાવવાની હોય ત્યારે માતાપિતા કાં તો તૈયાર નથી થતાં કાં પછી ઘરે પાછી લાવે તો ગુપચુપ લઈ આવે છે. જોકે ઉત્તર પ્રદેશના મેરઠમાં એક પિતાએ દીકરીના છૂટાછેડા મંજૂર થઈ ગયા પછી કોર્ટથી દીકરીને ઘરે પાછી લાવવાનો ઉત્સવ મનાવ્યો હતો. રિટાયર્ડ જજ જ્ઞાનેન્દ્ર શર્માની દીકરી પ્રણીતાનાં લગ્ન ૨૦૧૮ના ડિસેમ્બરમાં થયાં હતાં. એકની એક દીકરીનાં લગ્ન આર્મીના મેજર જનરલ સાથે થયેલાં. જોકે લગ્ન પછી પ્રણીતાએ ખૂબ માનસિક ત્રાસ વેઠવો પડ્યો હતો. એક દીકરાના જન્મ પછી પણ હાલત સુધરી નહીં એટલે આખરે ૭ વર્ષની માનસિક યાતના પછી દીકરી તેના પતિથી છૂટી થઈ ગઈ. મેરઠની ફૅમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજીને શનિવારે મંજૂરી મળી ગઈ એ પછી પરિવારે દીકરીને કોર્ટના પ્રાંગણમાંથી જ હારતોરા પહેરાવીને બૅન્ડવાજાં સાથે વાજતેગાજતે ઘરે લઈ જવાનો ઉત્સવ મનાવ્યો. કોર્ટમાં ઘરના બધા જ સભ્યો કાળા રંગનાં ટીશર્ટ પહેરીને પહોંચ્યા હતા જેના પર પ્રણીતાની તસવીર સાથે ‘માય ડૉટર’ લખ્યું હતું. નિવૃત્ત જજનું કહેવું હતું કે દીકરીને લગ્નજીવનમાંથી છુટકારો મળ્યો એ બદલ કોઈ ભરણપોષણ કે સામાન લેવામાં નથી આવ્યો. તેમણે સંદેશો આપ્યો હતો કે ‘સ્ત્રીઓએ અત્યાચાર સહન કરવાને બદલે આત્મનિર્ભર બનતાં શીખવું જોઈએ. આ માત્ર એક છૂટાછેડા નથી, પણ બદલાતી વિચારધારા અને દીકરીઓના સન્માનની નવી શરૂઆત છે.’ આ ઉત્સવ માટે મીઠાઈઓ પણ વહેંચવામાં આવી હતી.