13 June, 2021 10:57 AM IST | Nellore | Gujarati Mid-day Correspondent
આંધ્રના આ નવપરિણીત દંપતીએ લગ્નની ઉજવણીનો નવો માર્ગ અપનાવ્યો
લગ્નોમાં સગાંસંબંધી, મિત્રો, પાડોશીઓને ધુમાડાબંધ જમાડવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે, પરંતુ આંધ્રના એક નવપરિણીત દંપતીએ લગ્નની ઉજવણીનો નવો માર્ગ અપનાવ્યો. આપણા ગુજરાતી જીવદયાપ્રેમીઓએ એ બાબતની ઉદાહરણરૂપે નોંધ લેવા જેવી છે. નેલ્લોરમાં સ્થાયી થયેલા ઉત્તર ભારતીય પરિવારના નિખિલ અને કન્યા રક્ષાએ કોવિડ પ્રોટોકોલનું પાલન કરતાં લગ્નવિધિ પાર પાડી હતી. મર્યાદિત સંખ્યામાં મહેમાનો બોલાવીને સાદગીથી કાર્યક્રમ પાર પાડ્યો, પરંતુ ત્યાર પછી તેઓ નેલ્લોર શહેરની બહારના મહાવીર પશુ ક્ષેત્રમાં ગયા. ત્યાં તેમણે ગાય, કૂતરાં, સસલાં, વાંદરાં તથા અન્ય પશુઓને ઘાસચારો, ફળ અને શાકભાજી પેટ ભરીને જમાડ્યાં. એ પશુક્ષેત્રના કર્મચારીઓને પણ સારું ભોજન કરાવ્યું. એ ભોજન સમારંભનો ખર્ચ લગભગ ૬૫,૦૦૦ રૂપિયા થયો હતો. એ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.