14 February, 2026 08:14 PM IST | Shimla | Gujarati Mid-day Correspondent
૩૦ ઘરોને પીવાનું પાણી પૂરું પાડતી ટાંકીમાં જંતુનાશક દવા ભેળવી દેવામાં આવી
હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના રોહડુ ક્ષેત્રના એક આખા ગામને મારી નાખવાનું ષડયંત્ર ખુલ્લું પડ્યું હતું. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે, કેમ કે કોઈકે ગામનાં ૩૦ ઘરોને પીવાનું પાણી પૂરું પાડતી ટાંકીમાં જ ઝેરી જંતુનાશક દવા નાખી દીધી હતી. ગનીમત રહી કે કેટલાક સ્થાનિક રહેવાસીઓને પીવાના પાણીમાં દવા જેવી વાસ આવતાં તેમણે આસપાસના લોકોને પણ પાણી પીતા રોક્યા હતા. આસપાસનાં ઘરોમાં તપાસ કરતાં લગભગ ૨૦૦ લોકોના આખા આવાસમાં આ સમસ્યા જણાઈ હતી. આ તમામ ઘરોમાં એક જ ટાંકીમાંથી પાણી પૂરું પડતું હતું.
બરેઠુ ગામના આદર્શ શર્મા નામના રહેવાસીને સૌથી પહેલાં આ ગંધ મહેસૂસ થયેલી. બપોરે તેઓ ભોજન કરવા બેઠેલા ત્યારે દવાની ગંધવાળું પાણી જણાતાં તેમણે આસપાસનાં ઘરોમાં તપાસ કરી હતી. એ પછી પાણીનું સૅમ્પલ લઈને જળશક્તિ વિભાગને તપાસ માટે મોકલતાં ખબર પડી હતી કે પાણીમાં મોટી માત્રામાં જંતુનાશક દવા ભેળવવામાં આવી હતી. ૩૦ ઘરોમાં લગભગ ૨૦૦થી વધુ લોકો રહેતા હતા અને એ તમામ પર આ દવાવાળા પાણીથી જોખમ ઊભું થયું હતું. આવું કરનાર કોણ હતું એની શોધ પોલીસે શરૂ કરી છે. સફરજનના બાગમાં નાખવામાં આવતી ખૂબ જ ઝેરીલી દવા એમાં ભેળવવામાં આવેલી. એ માણસો માટે ખૂબ ખતરનાક હોય છે.