27 December, 2025 01:28 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
ગાયના મૃત્યુ પછી કાર્ડ છપાવીને શોકસભા-પ્રસાદીનું આયોજન કર્યું
રાજસ્થાનના પાલી જિલ્લાના તખ્તગઢમાં ૬૮ વર્ષના બિઝનેસમૅન જગદીશ રાવલની કાજલ નામની પ્રિય ગાયનું મૃત્યુ થતાં તેમણે કાજલને એક પરિવારજનની જેમ માનસન્માન સાથે વિદાય આપી હતી. ગાયની અંતિમવિધિ પૂરેપૂરા રીતરિવાજ સાથે કરવા ઉપરાંત શોકસભાનું આયોજન કર્યું અને એમાં ગામઆખાને આમંત્રણ આપ્યું હતું. ૧૬ ડિસેમ્બરે કાજલ ૧૮ વર્ષની વયે ઉંમરને કારણે મૃત્યુ પામી હતી. ગાયની અંતિમયાત્રામાં ઢોલ-મંજીરા વગાડીને ભજન ગવાયાં હતાં. એ પછી ગાયના અંતિમ સંસ્કાર પોતાના ખેતરમાં જ ખાડો ખોદીને કર્યા હતા. એના પર માતાજીની ચૂંદડી ઓઢાડવામાં આવી અને બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર અને વિધિવિધાન પણ કરવામાં આવ્યાં હતાં. ગાયના મૃત્યુ પછી દસમા દિવસે એટલે કે ૨૬ ડિસેમ્બરે ફાર્મહાઉસ પર શોકસભા અને પ્રસાદીનો કાર્યક્રમ પણ કર્યો હતો.