નારાજ પતિને સૉરી કહેવા માટે આખી રાતમાં ૬૩ કૉલ અને ૪૭ મેસેજ કર્યા, સવારે પથારીમાં મૃત અવસ્થામાં મળી

11 March, 2026 11:33 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

શરીરમાં ઝેર ફેલાયું હોવાનાં ત્વચા પર કોઈ લક્ષણો પણ નથી. હવે પોસ્ટમૉર્ટમ જ કહેશે કે તેણે આત્મહત્યા કરી હતી કે હાર્ટ-અટૅક આવી ગયો હતો.

પ્રિયંકા

ઉત્તર પ્રદેશના બરેલીમાં એક પ્રાઇવેટ હૉસ્પિટલની હૉસ્ટેલમાં રહેતી ૨૮ વર્ષની પ્રિયંકા નામની નર્સ રવિવારે બપોરે સંદિગ્ધ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. તે કઈ રીતે મૃત્યુ પામી એ હજીયે કોયડો જ છે. તેણે ઝેર પીને સુસાઇડ કર્યું હતું કે પછી હાર્ટ-અટૅક આવી જતાં તે મૃત્યુ પામી હતી એ હજી સ્પષ્ટ નથી થયું. જોકે પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં જે જાણવા મળ્યું એ કાળજું કંપાવી દે એવું છે.

પ્રિયંકાનાં લગ્ન સુનીલ નામના યુવક સાથે ૧૨ વર્ષ પહેલાં થઈ ચૂક્યાં હતાં. બન્ને નર્સનું કામ કરતાં હતાં, પરંતુ તેમની વચ્ચે થયેલા ઝઘડાને કારણે છ મહિનાથી પ્રિયંકા પતિથી અલગ હૉસ્ટેલમાં રહેતી હતી. હૉસ્ટેલમાં તેની રૂમમેટ હતી આસ્થા. શનિવારે રાતે પ્રિયંકાની હૉસ્પિટલની ડ્યુટી હતી, પરંતુ તેણે તબિયત ઠીક નથી એમ કહીને રજા લીધી હતી. રવિવારે સવારે રૂમમેટ આસ્થા ડ્યુટી પર વહેલી સવારે ગઈ ત્યારે પ્રિયંકા સૂતી હતી. બપોરે જ્યારે તે ડ્યુટી પરથી પાછી આવી ત્યારે પણ પ્રિયંકાના શરીરમાં કોઈ હલચલન ન દેખાતાં તરત જ તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી, પણ ત્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી. પોલીસે જ્યારે પ્રિયંકાના મોબાઇલની તપાસ કરી તો ખબર પડી કે એ રાતે તેણે પોતાના પતિને ૬૩ કૉલ કર્યા હતા અને ૪૭ મેસેજ કરીને અલગ-અલગ રીતે સૉરી કહેવાનો પ્રયત્ન કરેલો. જોકે તેના પતિએ ન તો કૉલ ઉઠાવ્યા હતા, ન મેસેજનો જવાબ આપ્યો હતો. એ પછી સવારે તે કેમ ઊઠી નહીં એ હજી કોયડો જ છે. પોલીસે શબને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યું છે. તેના શરીર પર કોઈ બાહ્ય ઘાનાં નિશાન નથી એટલું જ નહીં, શરીરમાં ઝેર ફેલાયું હોવાનાં ત્વચા પર કોઈ લક્ષણો પણ નથી. હવે પોસ્ટમૉર્ટમ જ કહેશે કે તેણે આત્મહત્યા કરી હતી કે હાર્ટ-અટૅક આવી ગયો હતો.

offbeat news india national news uttar pradesh bareilly heart attack suicide