05 January, 2026 11:15 AM IST | Dehradun | Gujarati Mid-day Correspondent
૮૬ વર્ષના દાદા જે જાતજાતની ઘડિયાળો સાથે કામ કરી ચૂક્યા છે
દેહરાદૂનમાં પૃથ્વીરાજ નામના વડીલ છે જેમણે આખી જિંદગી ઘડિયાળો રિપેર કરવાનું જ કામ કર્યું છે. ૮૬ વર્ષના આ દાદા છેલ્લાં ૭૧ વર્ષથી જાતજાતની એટલી ઘડિયાળો સાથે કામ કરી ચૂક્યા છે કે તેઓ ઍન્ટિક અને વિન્ટેજ ઘડિયાળોને ચુટકીમાં રિપેર કરી દે છે. આજે પણ તેમના હાથ અને આંખમાં એવી શાર્પનેસ છે કે તેઓ હાથમાં ઘડિયાળ આવતાં જ એની તકલીફ ક્યાં છે એનું નિદાન કરી દે છે. તેઓ માત્ર ભારતની જ નહીં, દેશ-વિદેશની વિન્ટેજ ઘડિયાળોને ચાલતી કરી દે છે. સ્વાભાવિક રીતે જૂની ઘડિયાળોના સ્પેરપાર્ટ્સ હવે મળતા ન હોય, પણ આ દાદા જરૂર પડ્યે એવા સ્પેરપાર્ટ્સ બનાવી દેવામાં પણ માહેર છે. જર્મની, બ્રિટન, સ્વિટ્ઝરલૅન્ડનાં જૂનાં ઍન્ટિક મશીનો તેમની પાસે છે જેની મદદથી આ કામ બખૂબી થઈ જાય છે. માત્ર દસમી ચોપડી ભણેલા પૃથ્વીરાજ પાસે ઘડિયાળના દેશવિદેશના શોખીનો આવે છે અને તેઓ બંધ ઘડિયાળોને ફરી ટકટક કરતી કરી દે છે.