01 September, 2026 12:02 PM IST | Ujjain | Gujarati Mid-day Correspondent
કિન્નર અઘોરીએ સળગતી ચિતામાંથી માંસ કાઢીને ખાધું
ઉજ્જૈનના ચક્રતીર્થ સ્મશાનનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વિડિયો કિન્નર અખાડા સાથે જોડાયેલી કાલી ઉર્ફ નંદ ગિરિના અકાઉન્ટ પરથી શૅર થયો હોવાનો દાવો છે. એમાં કાલી હાથમાં તલવાર લઈને તાંત્રિક ક્રિયાઓ કરતી દેખાય છે. એ પછી તે સળગતી ચિતા પાસે જાય છે અને તલવારથી ચિતાની અંદર સળગી રહેલી લાશમાંથી માંસનો ટુકડો કાઢીને ખાય છે. સ્વાભાવિક છે આવા વિડિયો પછી વિવાદ તો થવાનો જ. સંત સમાજ અને સામાન્ય લોકોએ સ્મશાન ઘાટ પરથી ચિતામાંથી માંસ કાઢીને ખાવા પર વિરોધ જતાવ્યો છે.
લોકો વિરોધ કરી રહ્યા છે કે ઉજ્જૈનનો સ્મશાન ઘાટ હવે સુરક્ષિત નથી રહ્યો. અહીં આએદિન તાંત્રિક પ્રક્રિયાઓ માટે શબ સાથે છેડછાડ થતી આવી છે. મહામંડલેશ્વર શૈલેષાનંદ ગિરિએ પણ કહ્યું હતું કે અઘોર સાધનાની પોતાની મર્યાદાઓ છે અને તાંત્રિક ક્રિયાઓ સાર્વજનિક રીતે કરવાનું ઠીક નથી, આવું પ્રદર્શન વેદિક પરંપરાઓને અનુરૂપ નથી.