01 March, 2026 02:43 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના બિજનૌરમાં એક જિલ્લા અદાલતના જજને બે કેદીઓએ ભરીઅદાલતમાં ખુલ્લેઆમ ધમકી આપી દીધી હતી. વાત એમ હતી કે બે આરોપીઓને જજે ઉમરકેદની સજા સંભળાવી હતી. સજા સાંભળીને આરોપીઓનો ગુસ્સો જજ પર ભડકી ઊઠ્યો. દોઢ વર્ષ પહેલાં કાર નીચે કચડીને એક માણસની હત્યા કરવા માટે જિલ્લાના ન્યાયાધીશ જિનેન્દ્રકુમારે જયદીપ અને પિન્ટુ ચૌહાણને ગુનેગાર ઠેરવીને તેમને ઉમરકેદની સજા સંભળાવી હતી. બન્ને આરોપીઓ જિલ્લાની જેલમાં બંધ હતા અને સુનાવણી માટે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જોકે જજે સંભળાવેલા ચુકાદાથી ગુસ્સે ભરાયેલા કેદીઓએ જજને કોર્ટરૂમમાં જ ધમકી આપી હતી : તુઝે દેખ લેંગે. હમે પતા હૈ તુમ્હારા ઘર કહાં હૈ, તુમ્હે નહીં છોડેંગે.’ કેદીઓના આ રવૈયાથી કોર્ટમાં હાજર બધા સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટના પછી જજ જિનેન્દ્રકુમારની સુરક્ષા વધારી દેવામાં આવી છે.