16 August, 2026 04:47 PM IST | Banda | Gujarati Mid-day Correspondent
ચોરોને કંઈ ન મળ્યું તો નળ ચોરી ગયા
ઉત્તર પ્રદેશના બાંદામાં બહારગામ ગયેલા એક પરિવારને ખબર પડી કે તેમના ઘરમાં ચોરી થઈ છે. પરિવારજનો મારતે ઘોડે પાછા ઘરે આવ્યા. જોયું તો મેઇન ડોરની સાંકળ તોડી નાખવામાં આવેલી. અંદર પણ બધું વેરવિખેર પડ્યું હતું. સૌથી નવાઈની વાત એ હતી કે આખાય ઘરમાંથી પાણીના નળ અને પાઇપો ગાયબ થઈ ગયાં હતાં. આ ચોરો જ્યારે પણ ચોરી કરવા જતા ત્યારે જો તેમને ધાર્યો હોય એટલો પૂરતો માલ ન મળે તો તેઓ ઘરના નળ અને નકૂચા બધું જ કાઢીને એના ભંગારમાંથી પૈસા ઊપજાવી લે છે. આ ભાઈના ઘરમાં તેમને તિજોરી ક્યાં છે એ ન મળી એટલે તેમણે નળ ચોરી લીધા હતા. પોલીસોએ આસપાસના લોકોએ કરેલા વર્ણન મુજબ ચાર ચોરોને પકડ્યા હતા. તેમના ઘરમાંથી આવાં ૨૨ નળ અને રોકડ રકમ મળી આવ્યા હતા. માત્ર આ ઘરે જ નહીં, કોઈ પણ ઘરેથી નળો ચોરવાની તેમને મજા આવતી હતી.