21 April, 2026 02:20 PM IST | Varanasi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય એઆઈ
ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક ચોરે ચોરી કર્યા પછી સીનાજોરી કરી હતી. ગાયત્રીનગરમાં બંધ પડેલા એક મકાનમાં ૩૧ માર્ચથી ૪ એપ્રિલ વચ્ચે ચોરી થઈ હતી. ચોર ઘરના ગેટનાં તાળાંને તોડીને અંદર ઘૂસી ગયો હતો. ઘરની અંદર ૭ રૂમો હતી એના પર માત્ર કડીઓ જ લગાવેલી હતી, તાળાં નહોતાં. એને કારણે ચોર માટે ચોરી કરવાનું આસાન થઈ ગયું. તેણે ઘરની દરેક રૂમમાંથી લગભગ ૪૦ લાખ રૂપિયાના દાગીના ચોરી લીધા. જોકે ચોરેલાં ઘરેણાં વેચવા જતી વખતે તે પકડાઈ ગયો. પોલીસે જ્વેલરને ત્યાં ચોરીનો માલ વેચવા આવેલા ચોરને પકડી લીધો હતો. એ પછી તેને પોલીસ-સ્ટેશને લઈ જઈને ચોરેલો માલ જપ્ત કર્યો હતો. નવાઈની વાત એ હતી કે જ્યારે ચોરને મકાનમાલિકની સામે લાવવામાં આવ્યો ત્યારે તેણે ઊલટું માલિકને જ ખખડાવી નાખ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘આટલા મોટા ઘરમાં નાનું તાળું કેમ? કેમ ઘરની રૂમોને તાળાં નહોતાં લગાવ્યાં?’