19 June, 2026 11:51 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સતત ઊભા રહેવાને કારણે તેમના ઘૂંટણ પર સોજો આવી ગયો છે
દુલાલ ગિરિ મહારાજના નામે જાણીતા એક સાધુની કેટલીક તસવીરો અને વિડિયો છેલ્લા થોડાક દિવસથી સોશ્યલ મીડિયા પર ફરી રહ્યાં છે. એમાં દાવો કરવામાં આવે છે કે આ મહારાજ શિવજીની અત્યંત કઠિન સાધના કરી રહ્યા છે. એ માટે તેમણે નહીં બેસવાનું નક્કી કર્યું છે. સામાન્ય રીતે તપ અને ધ્યાન બેસીને કરવાનાં હોય, પણ આ મહારાજે ઊભા રહેવાની સાધના આદરી છે. વિડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ મહારાજ ઓછામાં ઓછાં પાંચ વર્ષથી ઊભા જ છે. તેઓ આરામ પણ ઊભા-ઊભા જ કરે છે. એ માટે તેઓ ટેબલ પર શરીરનો આગળનો ભાગ ટેકવીને આરામ લેતા જણાય છે. સતત ઊભા રહેવાને કારણે તેમના ઘૂંટણ પર સોજો આવી ગયો છે અને પગમાં બ્લડ-સર્ક્યુલેશન રોકાઈ ગયું હોવાથી પગ નીચેથી કાળા પડી રહ્યા છે. કેટલાક લોકોનો દાવો છે કે દુલાલ ગિરિ મહારાજ પાંચ વર્ષથી નહીં પણ ૧૨ વર્ષથી આ ખડી તપસ્યા કરી રહ્યા છે. જોકે આ દાવાઓનું ક્યાંય વેરિફિકેશન નથી થયું.