ગંદા નાળામાંથી નીકળતા ગૅસમાંથી મજૂરો ચા-નાસ્તો બનાવે છે

02 April, 2026 03:26 PM IST  |  Ghaziabad | Gujarati Mid-day Correspondent

ગાઝિયાબાદના બ્રજવિહારમાં ગંદા અને વાસ મારતા એક નાળાનો ઉપયોગ હવે ગૅસનો ચૂલો જલાવવામાં થઈ રહ્યો છે

આ નાળામાં આસપાસના વિસ્તારોની ગંદકી જમા થાય છે. એની અંદર કચરો સડે છે અને સડેલા કચરામાંથી મિથેન વાયુ પેદા થાય છે.

ગાઝિયાબાદના બ્રજવિહારમાં ગંદા અને વાસ મારતા એક નાળાનો ઉપયોગ હવે ગૅસનો ચૂલો જલાવવામાં થઈ રહ્યો છે. આ નાળામાં આસપાસના વિસ્તારોની ગંદકી જમા થાય છે. એની અંદર કચરો સડે છે અને સડેલા કચરામાંથી મિથેન વાયુ પેદા થાય છે.

આ વિસ્તારમાં રહેતા હેમંત ભારદ્વાજનો દાવો છે કે તેણે આ નાળામાં ડ્રમ અને પાઇપ લગાવીને ગૅસ કાઢવાનું શરૂ કર્યું છે. આ ઔદ્યોગિક વિસ્તાર છે અને અહીં રહેતા મજૂરો પાસે અત્યારે LPGની ક્રાઇસિસ છે ત્યારે ગંધ મારતું આ નાળું તેમના માટે જીવાદોરીનું માધ્યમ બન્યું છે. બ્રજવિહારમાં આવેલું આ નાળું શહેરોનાં મોટાં નાળાંઓમાંનું એક છે. અહીં ઔદ્યોગિક ફૅક્ટરીઓમાંથી નીકળતો કચરો જમા થાય છે. એ બ્લૉકમાં રહેતા હેમંત ભારદ્વાજે એ કચરામાંથી પેદા થતા મિથેન વાયુને એકત્ર કરવાનો પ્રયોગ ૨૦૧૯માં પહેલી વાર કર્યો હતો. આ ગૅસથી તેમણે નાળા પાસે રાતના સમયે મશાલ સળગાવાનું શરૂ કર્યું હતું. જોકે હાલમાં LPGની તકલીફ છે ત્યારે પાઇપ દ્વારા એનાથી ચૂલો જલાવવાનો પ્રયોગ શરૂ કર્યો છે. હેમંત ભારદ્વાજનું કહેવું છે કે હાલમાં ગૅસનું પ્રેશર ઓછું હોવાથી ચૂલાની જ્યોત બહુ ધીમી ચાલે છે એટલે મજૂરો એના પર સવાર-સાંજની ચા બનાવી શકે છે. ૨૪ કલાકમાં એક ડ્રમમાંથી લગભગ અડધો કલાક ચાલે એટલો ગૅસ નીકળે છે. એમાંથી ક્યારેક નાસ્તો પણ બની જાય છે.

આ ગૅસ ખૂબ જ ગંધ મારતો હોવાથી મિથેનનો ડાયરેક્ટ ઉપયોગ ચૂલામાં કરવાનું હિતાવહ નથી. એમ છતાં જ્યારે અત્યારે ચોમેર LPGની કટોકટી છે ત્યારે વાસ સાથે પણ જો ગૅસ મળી જતો હોય અને કામ ચાલતું હોય તો ખોટું શું છે?

offbeat news ghaziabad india national news