સાતત્યતા જાળવીને દુનિયા પર અમે રાજ કરવા માગીએ છીએ

23 February, 2026 11:00 AM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાને એની જ ધરતી પર પછાડ્યા બાદ વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાનો હુંકાર : ગયા વર્ષે વન-ડેમાં ડંકો વગાડ્યા બાદ હવે ભારતીય ટીમનું લક્ષ્ય આ વર્ષે જૂનમાં ઇંગ્લૅન્ડમાં રમાનારો T20 વર્લ્ડ કપ છે

વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના

શનિવારે ઑસ્ટ્રેલિયાને એની જ ધરતી પર T20 સિરીઝમાં પછાડીને ભારતીય મહિલા ટીમે કમાલ કરી દીધી હતી. આ જીતમાં ટીમની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાનો મહત્ત્વપૂર્ણ ફાળો હતો. તેણે ત્રીજી અને નિર્ણાયક મૅચમાં ૮૨ રન ઉપરાંત સિરીઝમાં હાઇએસ્ટ ૧૨૯ રન બનાવીને ટીમને દરેક વખતે મબજૂત શરૂઆત કરાવી આપી હતી. ગયા વર્ષે ઘરઆંગણે વન-ડે વર્લ્ડ કપ અને હવે ઑસ્ટ્રેલિયામાં સિરીઝ જીત બાદ ઉત્સાહિત માન્ધનાએ કહ્યું હતું કે ટીમ સાતત્યપૂર્ણ પર્ફોર્મન્સ સાથે ટૉપ પર રહીને વર્લ્ડ ક્રિકેટમાં દબદબો જમાવવા માગે છે.

આ વર્ષની શરૂઆત એક દસકા બાદ ઑસ્ટ્રેલિયા જેવી મજૂબત ટીમને એના ઘરઆંગણે પછાડ્યા બાદ માન્ધનાએ બીસીસીઆઇ ટીવીને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘આ એવી જ ભારતીય ટીમ છે કે જેના વિશે વાતો કરતા હતા કે એ સાતત્યપૂર્ણ રહેવાનો પ્રયાસ કરતી હોય છે. હરીફ ટીમ વિશે અને ભૂતકાળમાં શું થયું હતું એ વિશે જરાય વિચાર કરતી નથી. આથી અમે આને હરાવ્યા કે અમે તેમને હરાવ્યા એનું હવે કોઈ મહત્ત્વ રહેતું નથી.’

સ્મૃતિએ વધુમાં કહ્યું હતું કે ‘અમે હવે ત્યાં પહોંચી રહ્યાં છીએ કે જ્યાંથી અમે વર્લ્ડ ક્રિકેટ પર દબદબો જમાવવા માગીએ છીએ. અમે કોને હરાવ્યા, ક્યા હરાવ્યા એનું કોઈ મહત્ત્વ નથી. અમે હવે ફક્ત તેમને હરાવવામાં સાતત્ય જાળવીને ટૉપ પર રહેવા માગીએ છીએ.’

વન-ડે વર્લ્ડ કપ ફતેહ કર્યા બાદ હવે T20 વર્લ્ડ કપ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં માન્ધનાએ કહ્યું હતું કે ‘આ T20નું વર્ષ છે. ગયું વર્ષ વન-ડેનું હતું જ્યાં અમે ઘણીબધી વન-ડે મૅચો રમી હતી. મને લાગે છે કે અત્યારે અમારી વન-ડે ટીમ એકદમ સેટલ છે અને T20 ટીમ હજુ ઘડાઈ રહી છે. અમે અમારી બેસ્ટ ઇલેવન અને  બેસ્ટ ૧૫ ખેલાડીઓ જલદી ફાઇનલ કરવા માગીએ છીએ. નિશ્ચિતપણે અમને T20માં બેસ્ટ બનાવવામાં વિમેન્સ પ્રીમિયર લીગ મહત્ત્વપૂર્ણ રોલ ભજવી રહી છે.’

indian womens cricket team india team india australia cricket news sports sports news smriti mandhana Jemimah rodrigues harmanpreet kaur