08 June, 2021 03:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી ટી૨૦ વર્લ્ડ કપ ભારતને બદલે સ્ટૅન્ડબાય વેન્યુ યુએઈમાં યોજવા વિશે આઇસીસીને અંદરખાને સહમતી આપી દીધી છે ત્યારે એવી પણ ચર્ચા છે કે ટી૨૦ વર્લ્ડ કપ શ્રીલંકામાં પણ યોજાઈ શકે છે. અહેવાલ પ્રમાણે ભારતીય ક્રિકેટ બોર્ડે યુએઈ તથા શ્રીલંકા બન્ને દેશમાં ક્રિકેટ બોર્ડ સાથે ટી૨૦ વર્લ્ડ કપ યોજવા વિશે વાતચીત કરી રહ્યું છે.
ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ આ બાબતે કહ્યું હતું કે ‘એ વાત બધા જ જાણે છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ અને યુએઈ વચ્ચે ટી૨૦ વર્લ્ડ કપના આયોજન માટે ચર્ચા ચાલી રહી છે, પણ એ વાતને પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે આઇપીએલ સિવાય પણ બીજી અનેક મૅચો યુએઈમાં રમાવાની છે. આથી ટી૨૦ વર્લ્ડ માટે પિચ જોઈએ એવી સારી કન્ડિશનમાં મળવી મુશ્કેલ છે. આને લીધે શ્રીલંકા સાથે પણ વાતચીત ચાલી રહી છે. જોકે આ હજી શરૂઆતના સ્ટેજની વાતચીત છે.’
શ્રીલંકા ટૂર ૧૩થી ૨૫ જુલાઈએ
ભારતીય ટીમની શ્રીલંકન ટૂર માટેની બ્રૉડકાસ્ટર સોનીએ શેડ્યુલની જાહેરાત કરી હતી. રાહુલ દ્રવિડના કોચિંગમાં રમવા જનાર ભારતની ‘બી’ ટીમ આ ટૂરમાં જુલાઈ ૧૩, ૧૬ અને ૧૮મીએ ત્રણ વન-ડે અને ૨૧, ૨૩ અને ૨૫મીએ ટી૨૦ મૅચો રમશે.