29 May, 2026 01:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધોની અને CEO કાસી વિશ્વનાથ
IPL 2026માં ઇન્જરીને કારણે એક પણ મૅચ ન રમનાર મહેન્દ્ર સિંહ ધોનીની આગામી સીઝનમાં હાજરી વિશે હમણાંથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ મામલે ચેન્નઈ સુપર કિંગ્સના CEO કાસી વિશ્વનાથે કહ્યું હતું કે ‘મારી સમજ મુજબ ધોની આગામી સીઝન માટે પાછો આવશે.
અમે હજુ સુધી તેની સાથે આ અંગે ચર્ચા કરી નથી. ચેન્નઈમાં છેલ્લી IPL મૅચ રમીને તે ટીમના ફૅન્સને આપેલું પોતાનું વચન પૂર્ણ કરશે એવી પણ મને આશા છે. અમે હંમેશાં ધોનીને ચેન્નઈની ટીમનો અભિન્ન ભાગ તરીકે જાળવી રાખવાનું પસંદ કરીશું. પછી ભલે તે ખેલાડી તરીકે, કોચ તરીકે કે માર્ગદર્શક તરીકે હોય. ભૂમિકા ગમે તે હોય. એ આખરે તેના પર નિર્ભર કરે છે કે તે શું નિર્ણય લે છે.’
ચેન્નઈ સુપર કિંગ્સનો કોચ બનશે રાહુલ દ્રવિડ?
સોશ્યલ મીડિયા પર ચર્ચા છે કે ભારતનો ભૂતપૂર્વ ક્રિકેટર અને કોચ રાહુલ દ્રવિડ ચેન્નઈ સુપર કિંગ્સનો આગામી કોચ બની શકે છે. ન્યુ ઝીલૅન્ડનો સ્ટીફન ફ્લેમિંગ ૨૦૦૯થી ચેન્નઈના હેડ કોચના પદ પર છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ટીમના પ્રદર્શનને જોતાં કોચ બદલવાની ચર્ચા તીવ્ર બની છે. આ મામલે CEO કાસી વિશ્વનાથ કહે છે, ‘અમે હજુ સુધી ક્રિકેટ સંબંધિત કોઈ પણ બાબતો અંગે કોઈ નિર્ણય લીધો નથી. અમે કોઈ તબક્કે આની સમીક્ષા કરીશું. રાહુલ દ્રવિડ સાથે આ બાબતે કોઈ વાત પણ નથી થઈ.’