05 January, 2026 01:11 PM IST | Vrindavan | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ભારતીય ઑલરાઉન્ડર દીપ્તિ શર્માએ હાલમાં વૃંદાવનમાં કેલીકુંજ આશ્રમની મુલાકાત લીધી હતી. ત્યાં તેણે સંત પ્રેમાનંદ મહારાજની મુલાકાત લીધી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા. શિષ્યએ વર્લ્ડ કપ ચૅમ્પિયન તરીકે દીપ્તિ શર્માનો પરિચય કરાવ્યો ત્યારે પ્રેમાનંદ મહારાજે ક્રિકેટ વિશે પોતાના વિચારો મૂક્યા હતા.
દીપ્તિ શર્માને પ્રેમાનંદ મહારાજે કહ્યું, ‘એક પ્લેયર મૅચ જીતે છે ત્યારે બધા ભારતીયો ખુશ થાય છે. આ ફક્ત એક રમત છે, પરંતુ એ આખા ભારતમાં ખુશી લાવે છે. આ એક પરોપકાર છે. પ્રસન્નતા આપવી એ સૌથી મહત્ત્વપૂર્ણ છે. આપણે એના માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ જેથી આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ.’
આશ્રમના સેવકોએ આપેલી રાધારાણીની પ્રસાદી-ચુંદડી પહેરીને સ્મિત આપી રહેલી દીપ્તિ શર્માને પ્રૅક્ટિસનું મહત્ત્વ સમજાવતાં પ્રેમાનંદ મહારાજે કહ્યું હતું કે ’સારો અભ્યાસ કરો, ભગવાનનું ધ્યાન કરો અને સતત અભ્યાસ કરો. અભ્યાસ દ્વારા બધું શક્ય છે. એનાથી આપણે કુશળ ખેલાડીઓ બની શકીએ છીએ. ઘણી વાર જીત્યા પછી ખેલાડીઓ અભ્યાસમાં ઢીલા પડી જાય છે અને મનોરંજનમાં મગ્ન થઈ જાય છે જે આગળની પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે. જીત્યા પછી આપણે વધુ સાવચેત રહેવું જોઈએ અને નિયમિતપણે અભ્યાસ કરવો જોઈએ. એનાથી આપણે પ્રગતિ કરતા રહીશું.’