27 March, 2026 12:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજીવ ગોયનકાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર બૅન્ગલોર અને રાજસ્થાનની ટીમની કરોડો રૂપિયાની ડીલ માટે જય શાહને શ્રેય આપ્યું હતું.
IPLના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદીએ લખનઉ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયનકા પર જાહેરમાં નિશાન સાધ્યું છે. બિઝનેસમૅન સંજીવ ગોયનકાએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર બૅન્ગલોર અને રાજસ્થાનની ટીમની કરોડો રૂપિયાની ડીલ માટે જય શાહને શ્રેય આપ્યું હતું.
તેમના ટ્વીટના જવાબમાં લલિત મોદીએ લખ્યું કે ‘આ માણસ ખરેખર ભૂલી ગયો કે આ IPL મૉડલ ખરેખર કોનો વિચાર હતો. હું ઇચ્છું છું કે તેની IPL ફ્રૅન્ચાઇઝીનો માલિક તેનો ભાઈ હર્ષ ગોયનકા હોય. તે એક સાચો ક્રિકેટચાહક છે, આ જોકર નહીં.’
લલિત મોદીએ ૧૯૯૭-’૯૮માં IPL જેવી ટુર્નામેન્ટનો વિચાર રજૂ કર્યો હતો. એ સમયે T20 ફૉર્મેટ અસ્તિત્વમાં આવ્યું નહોતું. ભારતીય ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ સિલેક્ટર સબા કરીમે ખુલાસો કર્યો હતો કે ‘લલિત મોદીએ ક્રિકેટ બોર્ડને લીગ બનાવવાનું સૂચન કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ દરખાસ્તમાં શહેર આધારિત ટીમોનો સમાવેશ થતો હતો અને એમાં વિદેશી ખેલાડીઓની ભાગીદારીનો સમાવેશ થતો હતો. IPLની સત્તાવાર શરૂઆત ૨૦૦૮માં થઈ હતી જેમાં લલિત મોદી એના સ્થાપક અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા હતા.’