25 June, 2026 09:57 AM IST | Manchester | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મૅન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રૅફર્ડ મેદાન પર આજે રમાનારી વિમેન્સ T20 વર્લ્ડ કપની કટોકટીભરી ગ્રુપ-મૅચમાં ભારતનો સામનો બંગલાદેશ સામે થશે. સેમી-ફાઇનલની રેસમાં પોતાની આશાઓ જીવંત રાખવા માટે ભારત માટે આ મુકાબલામાં જીત મેળવવી અનિવાર્ય છે.
હાલમાં ગ્રુપ 1માં સ્ટૅન્ડિંગમાં ભારત ૪ પૉઇન્ટ્સ સાથે બીજા સ્થાને છે, પરંતુ સાઉથ આફ્રિકા સામેની છેલ્લી મૅચમાં મારિઝાન કૅપની અદ્ભુત ૮૧ રનની અણનમ ઇનિંગ્સને કારણે મળેલી હાર બાદ ટીમ ઇન્ડિયા ભારે દબાણમાં આવી ગઈ છે. હવે પછીનો મુકાબલો શક્તિશાળી ઑસ્ટ્રેલિયા સામે હોવાથી ભારતે બંગલાદેશ સામે કોઈ પણ ભૂલ વિના વિજય મેળવવો જ પડશે.
ટીમની સ્ટાર ઓપનર શફાલી વર્માએ જણાવ્યું હતું કે કૅપ્ટન હરમનપ્રીત કૌરે ખેલાડીઓને નકારાત્મકતાથી દૂર રહીને એકબીજાને પ્રોત્સાહિત કરવા અને પ્રૅક્ટિસ પર ફોકસ કરવા કહ્યું છે, ગત વર્ષે પણ ટીમ આવી સ્થિતિમાંથી સફળતાપૂર્વક બહાર આવી હતી.
આ મૅચમાં શફાલીની ભૂમિકા ખૂબ મહત્ત્વની રહેશે, કારણ કે સ્પિનર શ્રેયંકા પાટીલની ઇન્જરી બાદ તે બૉલિંગમાં પણ મહત્ત્વની ઓવરો નાખી રહી છે. શફાલીએ ખુદને હવે એક સક્ષમ ઑલરાઉન્ડર ગણાવી છે.
બીજી તરફ, બંગલાદેશની ટીમ નેધરલૅન્ડ્સ અને પાકિસ્તાનને હરાવીને પૉઇન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને છે અને એ પણ સેમી-ફાઇનલની રેસમાં હોવાથી ભારત પોતાના પાડોશી દેશને હળવાશથી લેવાની ભૂલ બિલકુલ નહીં કરે.