14 January, 2026 03:20 PM IST | Rajkot | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા અને વિરાટ કોહલી
હર્ષોલ્લાસના તહેવાર મકરસંક્રાન્તિના પર્વ પર આજે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ૩ વન-ડે મૅચની સિરીઝની બીજી મૅચ રમાશે. બરોડાની વન-ડે મૅચ ૪ વિકેટે જીતીને યજમાન ટીમ ૧-૦થી આગળ છે. આજે કિવીઓ સામે જીત મેળવીને ભારતીય ટીમ સિરીઝ-વિજય સાથે ફૅન્સના ઉત્સાહમાં વધારો કરવાનો પૂરો પ્રયાસ કરશે.
ભારતીય ટીમનો રાજકોટમાં માત્ર વન-ડે ફૉર્મેટનો રેકૉર્ડ ખરાબ રહ્યો છે. ૨૦૧૩થી ૨૦૨૩ વચ્ચે ભારત અહીં સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામે વન-ડે મૅચ હાર્યું છે. એકમાત્ર વન-ડે જીત જાન્યુઆરી ૨૦૨૦માં કાંગારૂ ટીમ સામે મળી હતી. ન્યુ ઝીલૅન્ડ આ મેદાન પર નવેમ્બર ૨૦૧૭ની T20 મૅચ બાદ પહેલી વખત કોઈ પણ ફૉર્મેટની મૅચ રમશે. સ્પિન ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરને ઇન્જરી થયા બાદ પ્લૅઇંગ ઇલેવનમાં કોને રમવાની તક મળશે એના પર સૌની નજર રહેશે.
રાજકોટની હોટેલમાં ડાન્સર સાથે ગરબા રમતો જોવા મળ્યો હતો ભારતનો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ.