12 July, 2025 10:25 AM IST | London | Gujarati Mid-day Correspondent
કૅપ્ટન શુભમન ગિલ અને ફીલ્ડ અમ્પાયર વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી
ભારત-ઇંગ્લૅન્ડની સતત ત્રીજી ટેસ્ટ-મૅચમાં ડ્યુક્સ બૉલ વિવાદમાં રહ્યો છે. પહેલા દિવસે ભારતને ૮૦ ઓવર પછી મળેલા નવા બૉલનો આકાર બીજા દિવસે ઑલમોસ્ટ ૧૦ ઓવર પછી બદલાઈ ગયો હતો. ભારતની માગણી પર બીજા દિવસે જે નવો બૉલ આપવામાં આવ્યો એ જૂનો લાગતો હોવાથી કૅપ્ટન શુભમન ગિલ અને ફીલ્ડ અમ્પાયર વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી.
જોકે એ બૉલના લેધરનો એક ભાગ બહાર આવતાં અને બૉલનો આકાર બદલાતાં ફરી ટીમ ઇન્ડિયાને નવો બૉલ આપવો પડ્યો હતો.
એક બૉલ ૧૦ નહીં, ૮૦ ઓવર સુધી ચાલવો જોઈએ : સ્ટુઅર્ટ બ્રૉડ
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રૉડે પણ સોશ્યલ મીડિયા પર ડ્યુક્સ બૉલની ટીકા કરતાં લખ્યું હતું કે ‘ક્રિકેટ બૉલ એક મહાન વિકેટકીપર જેવો હોવો જોઈએ. આ વાત પર ભાગ્યે જ ધ્યાન આપવામાં આવ્યું છે. આપણે બૉલ વિશે આટલી બધી વાતો કરવી પડે છે, કારણ કે એ એક મોટી સમસ્યા છે અને એ લગભગ દરેક ઇનિંગ્સમાં બદલાઈ રહ્યો છે જે અસ્વીકાર્ય છે. ડ્યુક્સ બૉલને એક સમસ્યા છે કે એને ઠીક કરવાની જરૂર છે. એક બૉલ ૧૦ નહીં, ૮૦ ઓવર સુધી ચાલવો જોઈએ.’