આજે રાયપુરમાં સાઉથ આફ્રિકા સામે વન-ડે સિરીઝ પોતાના નામે કરવા ઊતરશે ભારત

03 December, 2025 12:15 PM IST  |  Raipur | Gujarati Mid-day Correspondent

રાયપુરના સ્ટેડિયમમાં ત્રીજી ઇન્ટરનૅશનલ મૅચ રમાશે, ભારત અહીં લિમિટેડ ઓવર્સની બન્ને મૅચ જીત્યું છે

રાયપુરની હોટેલમાં ટીનેજ ક્રિકેટ ફૅન્સ દ્વારા ગુલાબ આપીને વિરાટ કોહલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે ૩ વન-ડે મૅચની સિરીઝની બીજી મૅચ છત્તીસગઢના રાયપુરસ્થિત શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં રમાશે. ૨૦૨૩માં ભારતમાં ઇન્ટરનૅશનલ મૅચની યજમાની કરનાર આ ૫૦મું ક્રિકેટ-સ્ટેડિયમ બન્યું હતું. એ વર્ષમાં અહીં એક વન-ડે અને T20 મૅચ જ રમાઈ હતી. ભારતે વન-ડેમાં ન્યુ ઝીલૅન્ડ અને T20માં ઑસ્ટ્રેલિયાને હરાવ્યું હોવાથી અહીં યજમાન ટીમનો જીતનો રેકૉર્ડ ૧૦૦ ટકા છે.

રાયપુર પહોંચેલો રોહિત શર્મા

ડ્રેસિંગ-રૂમના વાતાવરણમાં અસ્થિરતાની ચર્ચા છતાં ભારત આજે વિરાટ કોહલીના શાનદાર ફૉર્મ અને રોહિત શર્માની શક્તિશાળી હાજરીને આધારે સિરીઝ પોતાને નામે કરવા ઊતરશે. રાંચીમાં ૧૭ રનની દિલધડક જીત દરમ્યાન વિરાટ કોહલીએ સદી અને રોહિત શર્માએ ફિફ્ટી ફટકારીને પોતાનું યોગદાન આપ્યું હતું. ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપની યજમાન ટીમ સાઉથ આફ્રિકા રેગ્યુલર કૅપ્ટન ટેમ્બા બવુમાની વાપસીની આશા સાથે સિરીઝ ૧-૧થી લેવલ કરવાનો ટાર્ગેટ રાખશે.

indian cricket team team india india south africa one day international odi raipur cricket news sports sports news