19 December, 2025 08:46 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
શશી થરૂર ક્રિકેટ બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા સાથે
લખનઉમાં બુધવારે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ચોથી T20 મૅચ ફૉગને કારણે રદ કરવામાં આવી હતી. આ મામલે ગઈ કાલે સંસદની બહાર કૉન્ગ્રેસના તિરુવનંતપુરમના સંસદસભ્ય શશી થરૂર અને ક્રિકેટ બોર્ડના વાઇસ-પ્રેસિડન્ટ વચ્ચે રસપ્રદ ચર્ચા થઈ હતી. મીડિયા સામે રાજીવ શુક્લાને મળીને શશી થરૂરે કહ્યું હતું કે ડિસેમ્બર-જાન્યુઆરીમાં નૉર્થ ઇન્ડિયામાં મૅચ શેડ્યુલ કરવાને બદલે કેરલામાં કરાવો.
શશી થરૂરને જવાબ આપતાં રાજીવ શુક્લાએ કહ્યું હતું કે ‘અમારે ૧૫ ડિસેમ્બરથી ૧૫ જાન્યુઆરી વચ્ચે મૅચ શેડ્યુલ કરવા પર ધ્યાન આપવું જોઈએ. રોટેશન પૉલિસી અનુસાર કેરલાને પણ મૅચ મળશે પણ એનો અર્થ એ નથી કે નૉર્થ ઇન્ડિયાને બદલે બધી મૅચ કેરલામાં રમાડીએ.’
છત્તીસગઢના રાજ્યસભાના સંસદસભ્ય રાજીવ શુક્લા મંગળવારે IPL 2026 મિની ઑક્શન દરમ્યાન અબુ ધાબીમાં, બુધવારે મૅચ દરમ્યાન લખનઉમાં અને ગઈ કાલે દિલ્હીની સંસદમાં જોવા મળ્યા હતા.