03 July, 2026 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટીમ ઇન્ડિયા ૧૫ ઑગસ્ટથી શ્રીલંકામાં બે ટેસ્ટ-મૅચની સિરીઝ રમશે
ભારત અને શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે ગઈ કાલે બે ટેસ્ટ-મૅચની સિરીઝનું શેડ્યુલ જાહેર કર્યું હતું. ૧૫થી ૧૯ ઑગસ્ટ દરમ્યાન પહેલી મૅચ ગૉલ સ્ટેડિયમમાં અને બીજી ટેસ્ટ ૨૩થી ૨૭ ઑગસ્ટ વચ્ચે કોલંબોમાં રમાશે.
૨૦૧૭ પછી આ ટાપુ દેશમાં ભારતની પ્રથમ ટેસ્ટ-સિરીઝ હશે.
ટેસ્ટ-સિરીઝ પહેલા કોલંબોમાં ૪ દિવસીય વૉર્મ-અપ મૅચ પણ રમાશે. બન્ને બોર્ડે અગાઉ ટૂરમાં ત્રણ T20 મૅચ ઉમેરવાની શક્યતા પર ચર્ચા કરી હતી, પરંતુ મીડિયા રિલીઝમાં એ મૅચોનો કોઈ ઉલ્લેખ નથી.
બીજી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચના પહેલા દિવસે શ્રીલંકાનો સ્કોર પાંચ વિકેટે ૨૮૮ રન
પહેલી ડ્રૉ ટેસ્ટ-મૅચ બાદ ગૉલ સ્ટેડિયમમાં ગઈ કાલે શ્રીલંકા અને ભારતની A ટીમો વચ્ચે બીજી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચ શરૂ થઈ હતી. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર શ્રીલંકાએ પહેલા દિવસે ૮૫ ઓવરમાં પાંચ વિકેટે ૨૮૮ રન કર્યા હતા.
શ્રીલંકા માટે પાંચમા ક્રમે રમી રહેલો કૅપ્ટન સહાન અરાચ્ચિગે ૧૪૮ બૉલમાં ૯ ફોર અને એક સિક્સની મદદથી ૮૩ રન કરીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી સ્પિનર સારાંશ જૈને અને મીડિયમ-પેસ બોલર યશ ઠાકુરે ૨-૨ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર ગુરનૂર બરાડને એક વિકેટ મળી હતી.