ઐયર છઠ્ઠા નંબર પરથી ઓપનર ‍બન્યો અને લાઇફ બદલાઈ ગઈ

25 September, 2021 09:40 AM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

શરૂઆતમાં તે ગભરાઈ રહ્યો હતો, પણ કોચ ચંદ્રકાન્ત પંડિતે તેને ખાતરી આપી હતી કે તું પાંચ મૅચમાં ઝીરોમાં આઉટ થશે તોય તને ટીમમાંથી પડતો નહીં મુકાય

વેન્કટેશ ઐયર

વીરેન્દર સેહવાગ ઓપનર બન્યા બાદ ઇતિહાસ રચાયો હતો એવી જ સ્ટોરી ફરી રિપીટ થઈ રહી હોય એવું લાગે છે. પહેલી મૅચમાં અણનમ ૪૧ અને બીજી મૅચમાં ચૅમ્પિયન મુંબઈના દમદાર બોલરો સામે માત્ર ૨૫ બૉલમાં હાફ સેન્ચુરી ફટકારીને છવાઈ જનાર વેન્કટેશ ઐયરે પણ પાંચમા-છઠ્ઠા ક્રમાંકેથી ઓપનર બન્યા બાદ વધુ સફળતા મેળવી રહ્યો છે.

બન્ને મૅચમાં ઐયરે ટીમને આપેલી મજબૂત શરૂઆત અને બોલરોના દમદાર પર્ફોર્મન્સને લીધે પહેલા હાફમાં સ્ટ્રગલ કરી રહેલું કલકત્તા આ બીજા હાફમાં પ્રથમ બન્ને મૅચ જીતીને આજે ટૉપ ફોરમાં પ્રવેશ મેળવીને પ્લે-ઑફ માટેનું મજબૂત દાવેદાર બની ગયું છે.

હાઇટને લીધે કીપિંગ છોડી

મધ્ય પ્રદેશના ઑલરાઉન્ડર ઐયરના ઍકૅડેમીના કોચ દિનેશ શર્માએ કહ્યું કે ‘વેન્કટેશ કરીઅરની શરૂઆત વિકેટકીપર-બૅટ્સમૅન તરીકે કરી હતી, પણ તેની હાઇટ વધુ હોવાથી કીપિંગમાં તેને તકલીફ પડતી હતી. આથી પછી કીપિંગ છોડીએ તે ધીમેધીમે નેટ્સમાં બોલિંગ કરવા લાગ્યો હતો. મૅચમાં પણ તે ટીમની જરૂર પ્રમાણે બોલિંગમાં મદદરૂપ થવા લાગ્યો હતો.

ઓપનિંગથી કરીઅર જામી ગઈ

વેન્કટેશ બોલર હોવાથી તેને મધ્ય પ્રદેશની અન્ડર-23ની ટીમમાં માટા ભાગે પાંચમા કે છઠ્ઠા નંબરે બૅટિંગમાં મોકલવામાં આવતો હતો. ઇન્દોરમાં એક મૅચ દરમ્યાન તેની પાસે ઓપનિંગ કરાવી હતી, ત્યાર બાદ મધ્ય પ્રદેશ ટીમના કોચ ચંદ્રકાન્ત પંડિત પણ તેને ઓપનિંગ કરાવવા લાગ્યા અને તેની કરીઅરની લાઇફ બદલાઈ ગઈ.’

ચંદ્રકાન્ત પંડિતે પણ આ બાબતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘પહેલાં તો ઐયર ઓપનિંગ કરવા તૈયાર નહોતો, પણ તે જે રીતે બૅટિંગ કરતો હતો એનાથી મને લાગી રહ્યું હતું કે તેનામાં મૅચને બદલી નાખવાની ક્ષમતા છે. ઐયરને ડર હતો કે તે ઓપનિંગમાં ફ્લૉપ જશે તો ટીમમાંથી આઉટ થઈ જશે, પણ મેં તેને ખાતરી આપી હતી કે તું પાંચ મૅચમાં ઝીરોમાં આઉટ થશે તો પણ ટીમમાંથી તને આઉટ નહીં કરવામાં આવે. મારી આ વાત અસર કરી ગઈ અને તે વધુ વિશ્વાસ સાથે ઇનિંગ્સની શરૂઆત કરવા લાગ્યો અને ત્યાર બાદ તેણે ક્યારેય પાછું વળીને નથી જોવું પડ્યું.’

પંડિતે આવું યુસુફ પઠાણ સાથે પણ કર્યું હતું. મિડલ ઑર્ડરમાં તેની ટૅલન્ટનો યોગ્ય ઉપયોગ ન થતો હોવાનું લાગતાં તેણે યુસુફને પણ ઓપનિંગમાં મોકલવાનું શરૂ કર્યું હતું.

૧૯૮ રનની ઇનિંગ્સે કલકત્તાનું ધ્યાન ખેંચ્યું

ડોમેસ્ટિક ક્રિકેટમાં તેણે બધાને ખૂબ પ્રભાવિત કર્યા હતા. સૈયદ મુશ્તાક અલી ટી૨૦ ટ્રોફીમાં તેણે પાંચ ઇનિંગ્સમાં ૧૪૯ રનના સ્ટ્રાઇક રેટથી ૨૨૭ રન બનાવ્યા હતા. વિજય હઝારે ટ્રોફીમાં પણ એ જાળવી રાખતાં પંજાબ સામે તે ૧૪૬ બૉલમાં અફલાતૂન ૧૯૮ રનની ઇનિંગ્સ રમ્યો હતો. એ ઇનિંગ્સ બાદ કલકત્તાએ તેને ટ્રાયલ માટે બોલાવ્યો હતો અને તેની સાથે કૉન્ટ્રૅક્ટ કરી લીધો હતો.

રજનીકાંતનો ફૅન, એમબીએ ડિગ્રી

ઇન્દોરમાં તામિલ ફૅમિલીમાં જન્મેલો વેન્કટેશ રજનીકાંતનો જબરો ફૅન છે. ફૅમિલીમાં દરેક પાસે ડિગ્રી ધરાવતા હોવાથી વેન્કટેશને માટે પણ એજ્યુકેશન મસ્ટ હતું અને તે ફાઇનૅન્સમાં એમબીએ ડિગ્રી ધરાવે છે. તેના પિતાને તે ભણવાને બદલે ક્રિકેટ રમે એ પસંદ નહોતું, પણ તેને તો ક્રિકેટર જ બનવું હતું. જોકે તેણે બન્નેમાં અફલાતૂન રીતે મૅનેજ કર્યું અને પોતાનું પણ સપનું સાકાર કર્યુ અને પિતાને પણ નારાજ ન કર્યા.

ગાંગુલી માટે બન્યો રાઇટીમાંથી લેફ્ટી

ગુરુવારે મૅચ બાદ સાથીખેલાડી રાહુલ ત્રિપાઠી સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું કે ‘ઈમાનદારીથી કહું તો આઇપીએલમાં મારે કલકત્તા ટીમ વતી જ રમવું હતું, કેમ કે સૌરવ ગાંગુલી એનો શરૂઆતથી કૅપ્ટન હતો. જ્યારે કલકત્તાએ જ મને પસંદ કર્યો એ મોમેન્ટ મારા માટે સપના જેવી હતી. દાદાના દુનિયાભરમાં કરોડો ફૅન છે અને હું પણ એમાંનો એક છું. બૅટિંગમાં મેં તેમની પાસેથી ઘણી પ્રેરણા લીધી છે. હું યુવા અવસ્થામાં રાઇટ બૅટ્સમૅન હતો, પણ મારે દાદની જેમ બૅટિંગ કરવી હતી અને તેમની જેમ જ સિક્સર ફટકારવી હતી એથી હું લેફ્ટી બની ગયો. દાદાએ અજાણતાં મારી જિંદગીમાં બહુ મોટો રોલ ભજવ્યો છે.

ઐયરમાં કોઈને ગિલક્રિસ્ટ, કોઈને યુવરાજ દેખાય છે

ઐયરની બે જ ઇનિંગ્સે તેના ચાહકોની સંખ્યામાં ખૂબ વધારો કરી દીધો છે. ઘણા તેની સરખામણી ભૂતપૂર્વ ક્રિકેટરો સાથે કરવા લાગ્યા છે. કલકત્તા ટીમના કોચ બ્રેન્ડન મૅક્‍લમ ઐયરના પર્ફોર્મન્સથી ખૂબ ખુશ છે. તેમને ઐયરમાં ભૂતપર્વ ઑસ્ટ્રેલિયન વિકેટકીપર-બૅટ્સમૅન ઍડમ ગિલક્રિસ્ટની ઝલક દેખાય છે. તેમણે કહ્યું કે ઐયરમાં મેદાનમાં ચારે બાજુ શૉટ્સ ફટકારવાની ક્ષમતા છે અને તે બીજો ગિલક્રિસ્ટ બની શકે છે. તેની રમવાની સ્ટાઇલને લીધે તેના પર્ફોર્મન્સમાં ખૂબ અસાતત્ય જોવા મળશે, ક્યારેક ઝીરો પર આઉટ થશે તો બીજી મૅચમાં મોટો ધડાકો કરશે.’

ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન પાર્થિવ પટેલને ઐયરમાં યુવરાજ સિંહનાં દર્શન થાય છે. પાર્થિવ કહે છે કે કોઈ ઇન્ટરનૅશનલ મૅચ કે ઇન્ડિયા-‘એ’ની મૅચ ન રમનાર ઐયરની મૅચ્યોરિટી જોઈને નવાઈ લાગે છેતે પહેલા નંબરથી નવમા નંબર સુધી બૅટિંગ કરી શકે છે. ફટકા મારવામાં તેના બિન્દાસપણાને જોઈને યુવરાજ સિંહ યાદ આવી જાય છે.’

ઐયરના ઍકૅડેમીના કોચ દિનેશ શર્મા પણ તેને મૉડર્ન યુગનો યુવરાજ સિંહ ગણાવે છે.

sports sports news cricket news indian premier league ipl 2021 kolkata knight riders