26 April, 2025 02:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૈભવ સૂર્યવંશી, વીરેન્દર સેહવાગ
IPL ઇતિહાસના યંગેસ્ટ પ્લેયર વૈભવ સૂર્યવંશીએ પહેલી બે મૅચમાં અનુક્રમે ૩૪ અને ૧૬ રન કર્યા છે. તે લખનઉ સામેની મૅચમાં સ્ટમ્પઆઉટ અને બૅન્ગલોર સામે બોલ્ડ થયો હતો. દરેક બૉલને બાઉન્ડરીની પાર પહોંચાડવા આતુર બિહારના આ પ્લેયરને ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દર સેહવાગે ચેતવણી સાથે કેટલાંક સલાહ-સૂચન આપ્યાં છે.
એક ઇન્ટરવ્યુમાં સેહવાગે કહ્યું કે ‘જો તમે એ જાણીને બહાર નીકળો છો કે સારું કરવા બદલ તમારી પ્રશંસા થશે અને સારું ન કરવા બદલ તમારી ટીકા થશે તો તમે મેદાનમાં જ રહેશો. મેં ઘણા પ્લેયર્સ જોયા છે જેઓ એક કે બે મૅચથી ખ્યાતિ મેળવે છે, પછી કંઈ કરી શકતા નથી, કારણ કે તેઓ વિચારે છે કે પોતે સ્ટાર પ્લેયર બની ગયા છે. વિરાટ કોહલીને જુઓ. તેણે ૧૯ વર્ષની ઉંમરે શરૂઆત કરી હતી અને હવે તે બધી ૧૮ IPL સીઝન રમી ચૂક્યો છે. વૈભવે આ જ લક્ષ્ય રાખવું જોઈએ. જો તેને લાગે કે પહેલા બૉલ પર છગ્ગો ફટકારીને એક કરોડ કમાયો હોવાથી તે સફળ થયો છે તો તે કદાચ આગામી સીઝનમાં નહીં હોય.’