ટીમના માલિકના પ્રશ્નોની વારંવાર સ્પષ્ટતા કરવી પડે છે, રમતનો અનુભવ ન ધરાવતા લોકોને સમજાવવું મુશ્કેલ છે

19 November, 2025 08:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

IPL કૅપ્ટન્સીના પડકારનો ખુલાસો કરી રાહુલે લખનઉ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયનકા પર કર્યો પ્રહાર

IPL 2024માં લખનઉ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયનકાએ એક કારમી હાર બાદ કે. એલ. રાહુલને જાહેરમાં ખખડાવ્યો હતો

ભારતના અનુભવી બૅટર કે. એલ. રાહુલે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કૅપ્ટન્સી દરમ્યાન આવતા પડકારો વિશે મોટો ખુલાસો કર્યો છે. તે કહે છે કે ‘IPLમાં કૅપ્ટન તરીકે મને સૌથી મુશ્કેલ બાબત એ જોવા મળી કે માલિક સ્તરે મને કેટલીક મીટિંગ્સ, સમીક્ષાઓ અને સ્પષ્ટતાઓ વારંવાર કરવી પડતી હતી. ૧૦ મહિના ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમ્યા પછી IPLના અંત સુધીમાં હું માનસિક અને શારીરિક રીતે વધુ થાકી જતો હતો.’ 

રાહુલે વધુમાં કહ્યું હતું કે ‘ટીમ ઓનર દ્વારા પુછાતા કેટલાક પ્રશ્નો એવા હોય છે જે આપણને આખા વર્ષ દરમ્યાન ક્યારેય પૂછવામાં આવતા નથી, કારણ કે ભારતીય ટીમના કોચ જાણે છે કે શું ચાલી રહ્યું છે. તમે ફક્ત કોચ અને સિલેક્ટર્સને તમારા નિર્ણયની સ્પષ્ટતા આપવા માટે જવાબદાર રહો છો. તેઓ ક્રિકેટ રમ્યા છે અને રમતને સમજે છે. રમતમાં કોઈ પણ જીતની ખાતરી આપતું નથી. રમતનો અનુભવ ન ધરાવતા લોકોને આ સમજાવવું મુશ્કેલ છે.’

IPL 2024માં લખનઉ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયનકાએ એક કારમી હાર બાદ કે. એલ. રાહુલને જાહેરમાં ખખડાવ્યો હતો. એ સીઝન પછી રાહુલે લખનઉની ટીમ સાથે ટુર્નામેન્ટમાં કૅપ્ટન્સી પણ છોડી દીધી હતી.

kl rahul lucknow super giants IPL 2026 indian premier league IPL 2024 cricket news sports sports news