11 May, 2026 03:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષર પટેલ અને શ્રેયસ ઐયર
IPL 2026ની પંચાવનમી મૅચ આજે હિમાચલ પ્રદેશના ધરમશાલા સ્ટેડિયમમાં રમાશે. પંજાબ પોતાની આગામી ત્રણેય હોમ-મૅચ સતત ધરમશાલાના પોતાના બીજા હોમ-ગ્રાઉન્ડમાં રમશે. ન્યુ ચંડીગઢના મુલ્લાંપુર સ્ટેડિયમમાં આ સીઝનમાં પંજાબે ચારમાંથી માત્ર અંતિમ મૅચમાં રાજસ્થાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ૧૦ મૅચમાં ૬ જીત, ૩ હાર અને એક નો-રિઝલ્ટ મૅચને કારણે પંજાબ ૧૩ પૉઇન્ટ સાથે હાલમાં ટૉપ-ફોરમાં છે. આજની મૅચ જીતીને શ્રેયસ ઐયર ઍન્ડ કંપની પ્લેઑફની રેસમાં રહેલી હૈદરાબાદ, ગુજરાત અને બૅન્ગલોર જેવી ટીમને પછાડીને ફરી પૉઇન્ટ-ટેબલમાં નંબર વન ટીમ બનશે. પંજાબને પોતાની ત્રણેય હાર છેલ્લી ત્રણ ટક્કરમાં રાજસ્થાન, ગુજરાત અને હૈદરાબાદ સામે મળી છે. દિલ્હી ૧૧ મૅચમાં ૪ જીત, ૭ હાર, ૮ પૉઇન્ટ અને -૧.૧૫૪ના નેટ- રનરેટ સાથે તળિયાની ટીમમાંની એક છે. છેલ્લી ૬ મૅચમાંથી પાંચ મૅચ હારીને આ ટીમ પ્લેઑફની રેસમાંથી ઓલમૉસ્ટ બહાર થઈ ગઈ છે. બાકીની ત્રણેય લીગ-સ્ટેજ મૅચમાં તેઓ અન્ય ટીમનાં સમીકરણ બગાડવા ઊતરશે. કૅપ્ટન અક્ષર પટેલે એક નિવેદનમાં કહી દીધું હતું કે અમે હવે આગામી સીઝનની તૈયારી કરી રહ્યા છીએ.’ ધરમશાલાના મેદાન પર ૨૦૧૦થી ૨૦૨૫ દરમ્યાન પંજાબે ૧૪ મૅચમાં ૬ જીત મેળવી છે અને ૮માં હારનો સામનો કર્યો છે. ૨૦૨૩થી ૨૦૨૫ વચ્ચે પંજાબ અહીં પાંચ મૅચ રમ્યું છે પણ એકમાત્ર જીત ૨૦૨૫માં લખનઉ સામે જ મળી હતી. દિલ્હી ૨૦૧૧થી ૨૦૨૩ વચ્ચે અહીં ૪ મૅચ રમ્યું છે અને બેમાં જીત મેળવી છે અને બે હારી ગયું છે. આ તમામ મૅચ તેઓ હોમ-ટીમ પંજાબ સામે જ રમ્યા હતા.
ધરમશાલામાં પંજાબ-દિલ્હીની મૅચ વચ્ચેથી અટકાવવી પડી હતી
૨૦૨૫ની ૮ મેએ ધરમશાલામાં એ સીઝનની છેલ્લી IPL મૅચ પાકિસ્તાનના ડ્રોન હુમલાને કારણે વચ્ચેથી અટકાવવી પડી હતી. એ સમયે દિલ્હી કૅપિટલ્સ સામે પંજાબ કિંગ્સે ૧૦.૧ ઓવરમાં ૧ વિકેટે ૧૨૨ રન કર્યા હતા. જોકે હુમલાના સમાચારને કારણે સ્ટેડિયમની ફ્લડલાઇટ બંધ કરીને પ્લેયર્સ અને દર્શકોને સ્ટેડિયમની બહાર સુરક્ષિત કાઢવામાં આવ્યા હતા.
|
બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
મૅચ |
૩૬ |
|
પંજાબની જીત |
૧૮ |
|
દિલ્હીની જીત |
૧૭ |
|
નો-રિઝલ્ટ |
૧ |
બન્ને ટીમની છેલ્લી મૅચ રહી હતી રેકૉર્ડબ્રેક
દિલ્હી અને પંજાબની આ સીઝનની પહેલી મૅચ રેકૉર્ડ ૫૪૯ રનવાળી હતી. અરુણ જેટલી સ્ટેડિયમમાં પચીસમી એપ્રિલે કે. એલ. રાહુલની ૧૫૨ રનની અણનમ ઇનિંગ્સની મદદથી દિલ્હીએ બે વિકેટે ૨૬૪ રન કર્યા હતા. પ્રભસિમરન સિંહ અને શ્રેયસ ઐયરની તોફાની ફિફ્ટીની મદદથી પંજાબે ૪ વિકેટે ૨૬૫ રનનો સૌથી મોટો ટાર્ગેટ ૧૮.૫ ઓવરમાં ચેઝ કર્યો હતો.