23 December, 2021 01:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આગામી એપ્રિલ-મે મહિનામાં યોજાનારી આઇપીએલની નવી સીઝન પહેલાં મોટા પાયે ખેલાડીઓની હરાજી યોજાવાની છે અને એની બે દિવસની ઇવેન્ટ ૭-૮ ફેબ્રુઆરીએ બૅન્ગલોરમાં યોજાશે એવી બીસીસીઆઇની યોજના હોવાનું જાણવા મળ્યું છે. એવું પણ મનાય છે કે આ વખતનું આ મેગા ઑક્શન છેલ્લું હશે, કારણ કે આઇપીએલના મોટા ભાગના જૂના ફ્રૅન્ચાઇઝીઓ
ઇચ્છે છે કે મેગા ઑક્શન રાખવાનું હવે બંધ કરવું જોઈએ. તેમનું એવું માનવું છે કે મેગા ઑક્શનનો ટ્રેન્ડ હવે જતો રહ્યો છે. દર ત્રણ વર્ષે પ્લેયરોની હરાજી યોજાતી હોવાથી ટીમ તૈયાર કરવામાં અને એની સમતુલા જાળવવાનો કોઈ અર્થ નથી રહેતો.’
દિલ્હી કૅપિટલ્સના કો-ઑનર પાર્થ જિન્દાલે ૩૦ નવેમ્બરે ખેલાડીઓના રિટેન્શનની જાહેરાતો થઈ ત્યાર પછી કહ્યું હતું, ‘શ્રેયસ ઐયર, શિખર ધવન, કૅગિસો રબાડા અને અશ્વિનને ગુમાવવા પડ્યા એ અમને જરાય નથી ગમ્યું. તમે ટીમ તૈયાર કરો, યુવા ખેલાડીઓને તક આપતા રહો અને તેમને ભારતની ઇન્ટરનૅશનલ ટીમ સુધી પહોંચાડ્યા બાદ ત્રણ વર્ષ પછી તેમને પોતાનામાંથી જ (જે-તે ફ્રૅન્ચાઇઝીમાંથી) ગુમાવી દો. આ બાબત પ્રત્યે બીસીસીઆઇએ ધ્યાન આપવું જોઈએ.’
દરમ્યાન આગામી હરાજી યુએઈમાં યોજાવાની અગાઉ વાત હતી, પરંતુ હાલના તબક્કે નક્કી કરાયું છે કે એ બૅન્ગલોરમાં જ યોજાશે.