22 December, 2025 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઈશાન કિશનની મમ્મી
ભારતના સ્ટાર વિકેટકીપર-બૅટર ઈશાન કિશનના ટીમ ઇન્ડિયામાં શાનદાર કમબૅક વિશે તેના પપ્પાએ મોટો ખુલાસો કર્યો છે. ઈશાન કિશનના પપ્પા પ્રણવ પાંડેએ કહ્યું હતું કે ‘મારી મમ્મીએ મને ભગવદ્ગીતા વાંચવાનું કહ્યું હતું એથી મેં ઈશાનને પણ એ જ સલાહ આપી. જો તમે ખૂબ તનાવ અનુભવો છો તો તમારા પ્રશ્નને મનમાં રાખો અને ગીતા ખોલો. તમારા મનમાં આવે એ પહેલું પાનું વાંચો. તમને તમારા પ્રશ્નનો જવાબ એ પાના પર મળશે.’
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘સલાહ તરીકે જે શરૂ થયું એ હવે એક આદત બની ગઈ છે. હવે જ્યાં પણ જાય છે ત્યાં તે ગીતાની પૉકેટ-એડિશન પોતાની સાથે રાખે છે. જ્યારે પણ તેને સ્પષ્ટતા અથવા ખાતરીની જરૂર હોય ત્યારે તે એ વાંચે છે. તેનું પરિપક્વતાનું સ્તર વધ્યું છે. તેની બૅટિંગ પરિપક્વ થઈ ગઈ છે. તે હવે માનસિક રીતે વધુ પરિપક્વ છે. બે વર્ષ પહેલાં ટીમ ઇન્ડિયામાંથી ડ્રૉપ થયો ત્યારે તે ખૂબ જ દુઃખી હતો. તેણે ક્યારેય પોતાની લાગણીઓ દર્શાવી નહીં, પરંતુ મમ્મી-પપ્પા તરીકે અમે સમજી શકીએ છીએ કે તે કઈ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો.’
ભગવાને એક માતાની પ્રાર્થના સાંભળી છે. ભગવાને ઈશાનની મહેનત જોઈ છે. - ઈશાન કિશનની મમ્મી સુચિત્રા સિંહ