26 July, 2026 01:02 PM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent
નજમુલ શાન્તો
૧૩ ઑગસ્ટથી ઑસ્ટ્રેલિયામાં બે ટેસ્ટ-મૅચની સિરીઝ માટે ઊપડતાં પહેલાં બંગલાદેશના ટેસ્ટ-કૅપ્ટન નજમુલ હુસેન શાન્તોએ મોટું નિવેદન આપ્યું છે. આ સિરીઝ માટે ઑસ્ટ્રેલિયાએ માત્ર ૧૩ સભ્યોની પણ શાનદાર ફૉર્મ ધરાવતા ખેલાડીઓ સ્ક્વૉડ જાહેર કરી છે.
નજમુલ હુસેન શાન્તોએ કહ્યું હતું કે ‘સામાન્ય રીતે મેં બંગલાદેશ ક્રિકેટમાં આ પહેલાં આવું કંઈ જોયું નથી. ઘણી વાર જ્યારે ટીમો અમારી સામે રમે છે ત્યારે તેઓ ઘણા પ્રયોગ કરે છે. નવા ખેલાડીઓને અમારી સામે રમવા ઉતારવામાં આવતા હોય છે. હું કહીશ કે આ અમારી ટીમ માટે એક સિદ્ધિ છે. તેઓ આટલી મજબૂત ટીમ લાવ્યા હોવાથી એ અમારા માટે ક્રિકેટની ગુણવત્તા દર્શાવવાની એક મોટી તક રજૂ કરે છે. મારું માનવું છે કે અમે અમારી આ ટેસ્ટ-ટીમ સાથે પહેલાંથી જ એક મજબૂત સ્થિતિ સ્થાપિત કરી લીધી છે. વિરોધી ટીમને જોતાં એ સ્પષ્ટ છે કે તેમણે આ સિરીઝને હળવાશથી લીધી નથી.’
સપ્ટેમ્બર ૨૦૨૪થી જૂન ૨૦૨૫ સુધી સતત પાંચ ટેસ્ટ-સિરીઝમાં વિજયી ન રહ્યા બાદ બંગલાદેશ છેલ્લી ત્રણેય ટેસ્ટ-સિરીઝ જીત્યું છે. બંગલાદેશે આયરલૅન્ડ, પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ-સિરીઝ જીતી હતી.