15 March, 2026 08:31 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
બૅન્ગલોરનું એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ
બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL 2026ની ઓપનિંગ મૅચ સહિતની RCBની પાંચ મૅચ સહિત પ્લેઑફ અને ફાઇનલ મૅચની યજમાની પર અંતિમ મોહર લાગવાની હજી બાકી છે. ૧૩ માર્ચે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિએશન, રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) અને કર્ણાટક સરકાર દ્વારા રચાયેલી નિષ્ણાત સમિતિ વચ્ચે મીટિંગ યોજાઈ હતી. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિએશન દ્વારા માહિતી આપવામાં આવી છે કે ‘આ મીટિંગમાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હાથ ધરવામાં આવેલા માળખાગત સુધારા-વ્યવસ્થાનાં અને સુરક્ષાનાં પગલાં વિશે વિગતવાર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. RCBના પ્રતિનિધિઓ અને તેમની સંબંધિત ઑપરેશનલ એજન્સીઓએ આગામી IPL મૅચોના સુગમ અને વ્યવસ્થિત સંચાલન માટે તેમની તૈયારીઓ અને ઑપરેશનલ યોજનાઓ પણ રજૂ કરી હતી. ચર્ચાઓ રચનાત્મક અને સકારાત્મક રહી હતી. મૅચો યોજાશે કે નહીં એનો નિર્ણય અને વધુ અપડેટ ૧૬ માર્ચે જાહેર થઈ શકે છે.’ કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ફાઇનલ મૅચની યજમાની એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને નહીં મળે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોગ્ય માળખાગત સુવિધાઓને કારણે ફાઇનલ મૅચની યજમાની વિશ્વના આ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને મળી શકે છે.
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ સ્ટાર બૅટર કેવિન પીટરસને IPL 2026માં પોતાની ભૂમિકાને લઈને મોટો ખુલાસો કર્યો છે. ગઈ કાલે તેણે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર લખ્યું હતું કે ‘હું આ IPL સીઝનમાં દિલ્હી કૅપિટલ્સ માટે મેન્ટર બની શકીશ નહીં. હું એ કામ માટે જરૂરી સમય આપી શકતો નથી. આ સીઝનમાં બધા ખેલાડીઓને શુભકામનાઓ.’ કેવિન પીટરસને વધુમાં લખ્યું હતું કે ‘જોકે હું તમને ફરીથી કૉમેન્ટેટરી બૉક્સમાં મળીશ. IPL વિશ્વની શ્રેષ્ઠ લીગ છે અને હું તમને બધાને ટૂંક સમયમાં મળવા માટે ઉત્સુક છું.’ છેલ્લી સીઝનમાં જ તે દિલ્હી કૅપિટલ્સ સાથે મેન્ટર તરીકે જોડાયો હતો અને બૅટિંગ લાઇનઅપને મજબૂત બનાવવામાં મોટું યોગદાન આપ્યું હતું. જોકે દિલ્હીની ટીમ મજબૂત શરૂઆત બાદ નબળી પડી ગઈ હતી અને ૧૪ મૅચમાંથી ૭ મૅચ જીતવા છતાં પાંચમા ક્રમે રહીને પ્લેઑફની રેસમાંથી આઉટ થઈ હતી.