24 March, 2026 06:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાર્દિક પંડ્યાએ મુંબઈ ઇન્ડિયન્સની કૅપ્ટન્સી છોડીને સૂર્યકુમાર યાદવને સોંપી દેવી જોઈએ : શ્રીકાન્ત
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાન્તે મુંબઈ ઇન્ડિયન્સના નેતૃત્વ વિશે મોટું નિવેદન આપ્યું છે. શ્રીકાન્તે કહ્યું હતું કે ‘આ એક વિચિત્ર પરિસ્થિતિ છે, કારણ કે હાર્દિક પંડ્યાએ રોહિત અને સૂર્યા હેઠળ રમીને ભારતને વર્લ્ડ કપ જીતવામાં મદદ કરી હતી. આવી સ્થિતિમાં હાર્દિકે પોતે કૅપ્ટન્સીનો ઇનકાર કરવો જોઈએ અને સૂર્યાને ટીમનો હવાલો સંભાળવા દેવો જોઈએ.’
શ્રીકાન્તે વધુમાં કહ્યું હતું કે ‘જો હાર્દિક પોતે મૅનેજમેન્ટને આ વાત કહે તો બધી સમસ્યાઓ આપમેળે ઉકેલાઈ જશે. તેણે કહેવું જોઈએ કે સૂર્યાને ટીમનો કૅપ્ટન બનવા દો, હું તેને સંપૂર્ણ ટેકો આપીશ. આ સમસ્યાનો ઉકેલ લાવવાનો આ એકમાત્ર રસ્તો છે. સૂર્યકુમાર યાદવ દેખીતી રીતે શ્રેષ્ઠ પસંદગી લાગે છે. તેઓ કોઈ પણ સમયે સૂર્યાને કૅપ્ટન બનાવી શકે છે.’
૨૦૨૪ અને ૨૦૨૫માં હાર્દિક પંડ્યાની આગેવાનીમાં મુંબઈની ટીમે ૨૯ IPL મૅચમાંથી ૧૩ મૅચ જીતી હતી જ્યારે ૧૬ મૅચમાં હાર મળી હતી. રેગ્યુલર કૅપ્ટન્સની ગેરહાજરીમાં સૂર્યાએ મુંબઈની બે વખત કૅપ્ટન્સી કરી છે, એમાં ટીમને એક હાર અને એક જીત મળી હતી.