27 August, 2025 06:13 AM IST | London | Gujarati Mid-day Correspondent
ભૂતપૂર્વ IPL ચૅરમૅન લલિત મોદી
ઇન્ડિયન પ્રીમિયર લીગના માસ્ટરમાઇન્ડ લલિત મોદીએ અમેરિકામાં ક્રિકેટના પ્રભાવ વિશે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય શૅર કર્યો છે. T20 વર્લ્ડ કપ 2024ની યજમાની બાદ પણ અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (MLC) T20 લીગ હજી પણ મોટી સંખ્યામાં દર્શકોને આકર્ષવા માટે સંઘર્ષ કરી રહી છે જેની તેમને આશા હતી.
લલિત મોદીએ મોટો ખુલાસો કરતાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘મેં મારા મિત્ર ક્રિકેટર ક્રિસ ગેઇલને મેજર લીગ ક્રિકેટ દરમ્યાન ફોન કર્યો. મેં તેને પૂછયું કે લીગનો માહોલ કેવો છે? તેણે જવાબ આપ્યો કે ભાઈ, બધું ખતમ થઈ ગયું, સ્ટેડિયમમાં કોઈ નથી.
ભૂતપૂર્વ IPL ચૅરમૅન લલિત મોદીએ દાવો કર્યો કે ‘અમેરિકા વિચારે છે કે લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ ૨૦૨૮માં ક્રિકેટને લાવવાથી તેઓ દેશમાં ક્રિકેટને આગળ વધારી શકશે, પણ એવું નથી થવાનું. આ દાયકામાં, આગામી દાયકામાં કે આગામી ૫૦ વર્ષોમાં પણ એવું થવાનું નથી. અમેરિકામાં ફૅન્સ ક્રિકેટ જોવા માટે ફક્ત ત્યારે જ પૈસા ખર્ચશે જ્યારે વિરાટ કોહલી, એમ. એસ. ધોની જેવા મોટા પ્લેયર્સ રમી રહ્યા હશે.’