21 March, 2026 06:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૉલ સ્ટર્લિંગ
૩૫ વર્ષના પૉલ સ્ટર્લિંગે તાત્કાલિક અસરથી આયરલૅન્ડની મેન્સ T20 ટીમના કૅપ્ટનપદેથી રાજીનામું આપી દીધું છે. મેન્સ T20 ઇન્ટરનૅશનલમાં હાઇએસ્ટ ૧૬૩ મૅચ રમનાર આ ટૉપ-ઑર્ડર બૅટરે રમત પર ફોકસ કરવા આ નિર્ણય લીધો છે. તેણે સ્પષ્ટતા કરી છે કે તે વન-ડેમાં કૅપ્ટન્સી કરતો રહેશે અને આગામી ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપમાં આયરલૅન્ડનું સ્થાન સુરક્ષિત રાખવા પર નજર રાખશે.
૨૦૨૩થી વાઇટ-બૉલ ફૉર્મેટમાં આયરલૅન્ડની આગેવાની કરનાર પૉલ સ્ટર્લિંગે કૅપ્ટન તરીકે ૪૮ T20માંથી ૨૦ મૅચ જીતી છે, ૨૬ મૅચમાં હાર મળી છે અને બે મૅચ નો-રિઝલ્ટ રહી છે. ૨૦૨૪ અને ૨૦૨૬ બન્ને T20 વર્લ્ડ કપમાં તેણે આયરલૅન્ડના કૅપ્ટન તરીકે જવાબદારી નિભાવી હતી. જોકે ટીમે ગ્રુપ-સ્ટેજ રાઉન્ડ રમીને જ બહાર થવું પડ્યું હતું. જમણા ઘૂંટણની ઇન્જરીને કારણે હાલમાં T20 વર્લ્ડ કપમાંથી તેણે અધવચ્ચેથી બહાર થવું પડ્યું હતું.
જૂનના અંતમાં ટીમ ઇન્ડિયા આયરલૅન્ડની ટૂર પર જઈ શકે છે
IPL 2026 પછી ટીમ ઇન્ડિયાના ૧૨ મહિનાના પૅક શેડ્યુલ વિશે મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે. અફઘાનિસ્તાન સામેની ઘરઆંગણાની અને ઇંગ્લૅન્ડમાં રમાનારી સિરીઝ વચ્ચે જૂનના અંતમાં ટીમ ઇન્ડિયા બે વાઇટ-બૉલ મૅચ રમવા આયરલૅન્ડ જઈ શકે છે. અહેવાલો અનુસાર આ બન્ને મૅચ T20 ફૉર્મેટની હોઈ શકે છે. એ સૂર્યા ઍન્ડ કંપની માટે ચૅમ્પિયન બન્યા બાદ પહેલી T20 સિરીઝ પણ બની શકે છે.